Lenskart Religious Controversy |સુરતના એક આશાસ્પદ યુવાન સાથે મુંબઈ (Mumbai) માં બનેલી ઘટનાએ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ઝીલ સોઘાસિયા નામના યુવકે પ્રખ્યાત કંપની લેન્સકાર્ટ (Lenskart) પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, ટ્રેનિંગ દરમિયાન તેને પોતાની ધાર્મિક ઓળખ સમાન શિખા (ચોટલી) અને તિલક દૂર કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર વિવાદ? ઝીલ સોઘાસિયા લેન્સકાર્ટમાં ટ્રેનિંગ (Training) માટે મુંબઈ ગયા હતા. યુવકના જણાવ્યા અનુસાર, કંપનીના અધિકારીઓએ તેને સ્પષ્ટ સૂચના આપી હતી કે જો તે શિખા અને તિલક નહીં હટાવે, તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. ઝીલે પોતાની ધાર્મિક પરંપરા સાથે સમાધાન કરવાનો ઇનકાર કરતા તેને ટ્રેનિંગમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે.
કાનૂની લડત અને અધિકારો: આ ઘટનાને ધાર્મિક સ્વતંત્રતા (Religious Freedom) પર તરાપ ગણાવી ઝીલે હવે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તેણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, “આ માત્ર મારી વ્યક્તિગત લડત નથી, પણ દરેક નાગરિકના ધાર્મિક અધિકારનો મુદ્દો છે.” ભારતીય બંધારણ (Constitution of India) મુજબ દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે, ત્યારે ખાનગી કંપનીના આ દબાણ સામે અનેક સવાલો ઉઠ્યા છે.
સોશિયલ મીડિયા પર આક્રોશ: આ કિસ્સો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર કોર્પોરેટ કલ્ચર અને ડ્રેસ કોડ (Dress Code) ને લઈને મોટી ચર્ચા જાગી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું પ્રોફેશનલ લાઈફમાં ધાર્મિક ઓળખ અવરોધરૂપ બની શકે? હાલમાં આ મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો છે અને ઝીલ સોઘાસિયા ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.
