કોઈપણ રાષ્ટ્રની પ્રગતિની ઈમારત તેના શ્રમિકોના પરસેવા પર ચણાયેલી હોય છે. તા. 1લી મે એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’ એ માત્ર એક તારીખ નથી, પરંતુ શ્રમની સાધના કરનારા કરોડો કર્મયોગીઓના ઋણ સ્વીકારનો પર્વ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત આજે શ્રમિક સશક્તીકરણની નવી પરિભાષા લખી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો સુમેળ સાધીને શ્રમિકોને આર્થિક ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં દેશભરમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે.
વર્ષ 2025 ગુજરાતના શ્રમ ઇતિહાસમાં ઐતિહાસિક સુધારાઓનું વર્ષ રહ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવાળીયાના માર્ગદર્શનમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણો ઘટાડવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘જન વિશ્વાસ બિલ’ અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક સંબંધ અધિનિયમ અને ગુજરાત દુકાન અને વાણિજ્યક સંસ્થા અધિનિયમમાં ગુનાઓના માંડવાળ અને પેનલ્ટીની જોગવાઈઓ દાખલ કરી વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવી છે. આ સુધારાઓથી વેપારીઓ અને ઔદ્યોગિક એકમો માટે કામકાજ સરળ બનશે, જેના પરિણામે શ્રમિકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
રાજ્યના શ્રમિકોના પ્રશ્નોનું ડિજિટલના માધ્યમથી ઝડપી સમાધાન થાય તે હેતુથી કાર્યરત ‘શ્રમ સેતુ પોર્ટલ’ શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પોર્ટલમાં ઔદ્યોગિક શ્રમયોગીઓના ગ્રેજ્યુઈટી, પગાર વધારો કે છૂટા કરવા જેવા વિવાદો માટે ‘કેસ એન્ડ ક્લેઈમ મોડ્યુલ’ વિકસાવવામાં આવ્યું છે.
આ મોડયુલ થકી વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ 5,550 અરજીઓ પર પારદર્શક રીતે ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે, ઈન્સ્પેક્શન મોડ્યુલ થકી વર્ષ ૨૦૨૫માં કુલ 13,810 ઓનલાઇન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યા હતા.
શ્રમિકોના વિવિધ પ્રશ્નોના સમાધાન માટે શ્રમિક સહાયક કોલ-સેન્ટર હેલ્પલાઇન નંબર ‘155372’ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના પર વર્ષ 2025 દરમિયાન કુલ 18,402 ફોન કોલ્સ પ્રાપ્ત થયા હતા, જેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત, રાજ્ય સરકારની મધ્યસ્થીથી વર્ષ ૨૦૨૫ દરમિયાન ૭,૬૫૫ શ્રમયોગીઓને રૂ. 11.13 કરોડથી વધુની રકમ વેતન તફાવત તરીકે ચૂકવવામાં આવી છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સરકારના પ્રયાસોથી વર્ષ 2024-25 દરમિયાન 12.44 લાખથી વધુ શ્રમિકોને રૂ. 2029.17 કરોડની રકમ બોનસ તરીકે ચૂકવણી કરાવવામાં આવી છે.
ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે શરૂ કરાયેલા ‘ઈ-શ્રમ પોર્ટલ’ પર વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં કુલ 4 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી છે.
આ તમામ યોજનાઓ અને આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત સરકાર ટેકનોલોજીના માધ્યમથી શ્રમિકોને સશક્ત બનાવી રહી છે. જ્યારે શ્રમિક સમૃદ્ધ હશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં આત્મનિર્ભર બનશે.
