ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ બહુમતી બાદ, રાજ્ય સરકાર હવે ‘સેવા અને સુશાસન’ના મંત્ર સાથે પ્રજાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કટિબદ્ધ બની છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મંત્રીમંડળની બેઠક બાદ મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી તંત્રને કડક અને સ્પષ્ટ આદેશો આપ્યા છે.
મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મુખ્યમંત્રી, મંત્રીઓ અને જનપ્રતિનિધિઓએ રાજ્યના ખૂણે-ખૂણે વ્યાપક લોકસંપર્ક કર્યો હતો. આ પ્રવાસ અને સંપર્ક દરમિયાન નાગરિકો દ્વારા અનેક પ્રકારની સ્થાનિક સમસ્યાઓ, વહીવટી ગૂંચવણો અને નવી વિકાસલક્ષી અપેક્ષાઓ સરકારના ધ્યાને મૂકવામાં આવી છે.
જનતાએ જે ભરોસો ભાજપ પર મૂક્યો છે, તેને સાર્થક કરવા માટે મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને ઉચ્ચ અધિકારીઓને નાગરિકોની ફરિયાદોનું સચોટ લિસ્ટ બનાવી, તેના ત્વરિત નિવારણ માટે અસરકારક એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપી છે.
રાજ્ય સરકારનું માનવું છે કે સત્તા એ માત્ર જનતાની સેવા કરવાનું સાધન છે. ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ હતો જે હવે પૂર્ણ થયો છે, અને હવેનો સમય પ્રજાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વિજયના આ ઉત્સાહને સેવામાં પરિવર્તિત કરીને નાગરિકોની નાની-મોટી તમામ મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર આગામી દિવસોમાં વધુ વેગથી કાર્ય કરશે. રાજ્યના દરેક છેવાડાના માનવી સુધી સુવિધા અને પારદર્શક વહીવટ પહોંચાડવો એ સરકારની પ્રાથમિકતા છે.
મુખ્યમંત્રીના આ આદેશ બાદ હવે રાજ્યના વહીવટી તંત્રમાં ગતિશીલતા જોવા મળશે. આગામી દિવસોમાં વિકાસના કામોને વધુ વેગ આપવામાં આવશે અને જે પ્રશ્નો લાંબા સમયથી પડતર છે, તેનો નિકાલ લાવવા માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ વિશેષ દેખરેખ રાખવામાં આવશે.
આ નિર્ણયથી સામાન્ય જનતાને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
