
શ્રી વિજયપુરમ, આંદામાન: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે આંદામાન અને નિકોબારમાં હિંદુત્વવાદી નેતા વીર સાવરકરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.
સન્માનના હકદાર હતા: પ્રતિમાના અનાવરણ બાદ સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે વીર સાવરકરને સામાજિક દુષણોને નાબૂદ કરવાના તેમના પ્રયાસો માટે તે સન્માન નથી મળ્યું, જેના તેઓ હકદાર હતા. તેમણે વીર સાવરકર પ્રેરણા ઉદ્યાનનું પણ ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રીએ આંદામાન અને નિકોબાર ટાપુઓને પવિત્ર ભૂમિ ગણાવી, જ્યાં સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
જીવનના મુશ્કેલ દિવસોની ભૂમિ: અમિત શાહે વીર સાવરકરના સામાજિક સુધારાના પ્રયાસોને યાદ કર્યા, જેમાં તેમણે હિંદુ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને અસ્પૃશ્યતા સામે લડત આપી હતી. તેમણે કહ્યું, “સ્વતંત્રતા પહેલા, આંદામાન અને નિકોબાર લાવવામાં આવેલા વ્યક્તિને તેના પરિવાર દ્વારા ભૂલી જવામાં આવતો હતો, કેમ કે કોઈ વિચારી પણ શકતું નહોતું કે ‘કાળા પાણી’ની સજા ભોગવતા લોકો પરત ફરશે. પરંતુ આજે આ સ્થળ ભારતીયો માટે ‘તીર્થસ્થાન’ બની ગયું છે, કારણ કે વીર સાવરકરે જીવનના સૌથી મુશ્કેલ દિવસો અહીં વિતાવ્યા હતા.”
નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું યોગદાન: ગૃહ મંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના યોગદાનને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે આ સ્થળ સુભાષ બાબુની સ્મૃતિ સાથે સંકળાયેલું છે. આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌપ્રથમ જે ભૂમિને મુક્ત કરી તે આંદામાન અને નિકોબાર ટાપુ હતી. તેમણે આ ટાપુઓનું નામ શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવાનું સૂચન કર્યું હતું, જે પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં પૂર્ણ કર્યો હતો.
