સાબરમતી સ્ટેશનથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ટ્રેન દ્વારા દિલ્હી માટે પ્રસ્થાન કર્યું

તા. 13.05.2026ના રોજ ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પુનર્વિકાસ હેઠળના સાબરમતી રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન માનનીય રાજ્યપાલશ્રીએ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત લઘુ મોડેલ તથા સ્ટેશન પુનર્વિકાસ યોજનાનું અવલોકન કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે માનનીય રાજ્યપાલશ્રીને સાબરમતી રેલવે સ્ટેશન તથા NHSRCL (બુલેટ ટ્રેન) સ્ટેશન પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આજે તેમને પ્રથમ વખત સાબરમતી રેલવે સ્ટેશન નિહાળવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું કે મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ તથા શ્રી અન્નુ ત્યાગી દ્વારા સ્ટેશન પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેને જોઈ તેઓ અત્યંત આશ્ચર્યચકિત અને આનંદિત થયા છે.

માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલ બુલેટ ટ્રેન અભિયાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં તેનું કાર્ય અત્યંત પ્રભાવશાળી રીતે આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે દેશના વિવિધ ભાગોમાં નિયમિત રીતે સંચાલિત થતી ટ્રેનોના સંચાલનમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ સર્જાયા વિના એટલું ભવ્ય અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પોતાના માં અનોખું છે અને કદાચ ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનું સ્ટેશન વિકસિત થઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમને માહિતી મળી છે કે ભારત સરકારની કેબિનેટ દ્વારા આજે જ ધોલેરાથી સાબરમતી સુધીની સેમી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને અંદાજે રૂ. 20,000 કરોડની મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તાર મેટ્રો નેટવર્ક સાથે પણ જોડાયેલો છે, જેના કારણે મુસાફરોને દેશના વિવિધ ભાગોમાં જવા માટે ઉત્તમ અને નિરવિઘ્ન કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.

માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સાબરમતી સ્ટેશનને અત્યંત સુવ્યવસ્થિત અને આધુનિક રીતે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં આવતી અને જતી ટ્રેનો માટે અલગ વ્યવસ્થા રહેશે. બુલેટ ટ્રેન, મેટ્રો તથા દેશના વિવિધ ભાગોથી આવતી ટ્રેનોનું આ સંગમ ભવિષ્યમાં એક દર્શનીય કેન્દ્ર બનશે, જેના પર દેશવાસીઓને ગૌરવ અને સ્વાભિમાનનો અનુભવ થશે. તેમણે આ આધુનિક વિકાસ કાર્ય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમજ રેલવે પ્રશાસન અને તમામ રેલ અધિકારીઓને શ્રેય આપ્યો।
માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે તેઓ આજે રેલમાર્ગ દ્વારા દિલ્હી માટે પ્રસ્થાન કરી રહ્યા છે અને પ્રધાનમંત્રીજી દ્વારા દેશવાસીઓને કરાયેલી અપીલને અનુરૂપ તેમણે સંકલ્પ કર્યો છે કે તેમની મોટાભાગની આગામી યાત્રાઓ રેલવે અને એસટી બસ મારફતે જ થશે. તેમણે જણાવ્યું કે તેઓ દર અઠવાડિયે ગુજરાતના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો વચ્ચે જાય છે, જનસભાઓ કરે છે, વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાગ લે છે તથા અનુસૂચિત જાતિના પરિવારો વચ્ચે સમય વિતાવે છે. હવે તેઓ આ યાત્રાઓ હવાઈ માર્ગના બદલે રેલવે અને એસટી બસ મારફતે કરશે. સાથે સાથે તેમણે પોતાના કાફલાને પણ મર્યાદિત કરીને માત્ર ત્રણ વાહનો સુધી રાખ્યો છે, જેથી દેશના વિકાસ અને ઊર્જા સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે।
