Breaking News

અમદાવાદના નરોડા મુઠીયા કમ્યુનિટી હોલ ખાતે પૂર્ણા યોજના અને બેટી બચાવો, બેટી
પઢાવો યોજનાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇસીડીએસ ઘટક નંબર 8, 15 અને 17
તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
સશક્ત અને સુપોષિત કિશોરીમેળાનું આયોજન કરી શપથવિધિ અને વિવિધ યોજનાના
માહિતીદર્શક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ તથા અન્ય

હાજર લોકોને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા
હતા.


આ કાર્યક્રમના સ્થળ પર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ
લગાવવામાં આવ્યા જેમાં, વહાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, સખી વન
સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર યોજના, મહિલા સ્વાવલંબન યોજના,
ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના જેવી વિવિઘ
પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી.


આ ઉપરાંત, કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ દીકરીઓના જન્મને વધાવવા, તેમને શિક્ષિત
કરવા માટે જે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લઈ
પ્રતિજ્ઞા લીધી કે,
“દીકરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય જેવા હક આપી
દીકરી અને દીકરાના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું.”
સરકાર દ્વારા સમાજમાંથી લીંગભેદ દૂર થાય અને સમાજમાં દીકરીઓનું રક્ષણ થાય તથા,
દીકરીઓના શૈક્ષણિક સ્તરમાં વધારો થાય તે માટેના જુદા જુદા પ્રયાસો કરવામાં આવે છે. દીકરી
જન્મને પ્રોત્સાહન આપવા માટે સરકાર દર વર્ષે દીકરીઓ તથા મહિલાઓને સમર્પિત મહિલા
દિવસની ઉજવણી કરે છે.
તા. 8 મી માર્ચના રોજ વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં
આવે છે. ભારતની અડધી વસ્તી મહિલાઓની છે ત્યારે, તેમને ભારતના આર્થિક વિકાસનો પૂરતો
ભાગ બનાવી તેઓ સશક્ત બની નીડરતા સાથે આગળ વધે તે માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે
ખાસ મહિલાઓ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ગુજરાત સરકારનું મહિલા અને બાળ વિકાસ
વિભાગ મહિલાઓના શિક્ષણ, સશક્તિકરણ, પોષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓને પૂરતો ન્યાય
આપવાનો પ્રયત્ન કરે છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના
ચેરમેન શ્રી પ્રતિભાબહેન જૈન, ઠક્કરનગરના ધારાસભ્ય શ્રી કંચનબહેન રાદડિયા, મોટી સંખ્યામાં
કાઉન્સેલરશ્રીઓ અને પદાધિકારીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના PBSC કાઉન્સેલર
હેમલબહેન બારોટ અને આરતીબહેન વાઘેલા, 15 થી 18 વર્ષની કિશોરીઓ, વાલીઓ, આંગણવાડી
વર્કર તથા આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: