Shaktisinh Gohil Nephew Suicide | અમદાવાદ (Ahmedabad)ના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે એક અત્યંત કરૂણ ઘટના બની હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને વર્ગ-1ના અધિકારી (Class-1 Officer) યશરાજસિંહ ગોહિલે પોતાની પત્નીના મોતના આઘાતમાં પોતે પણ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.
માહિતી મુજબ, યશરાજસિંહ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર (Revolver) સાફ કરી રહ્યા હતા અથવા ફેરવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક મિસફાયર થતા પત્ની રાજેશ્વરીબાના ગળાના ભાગે ગોળી વાગી હતી. ગભરાયેલા યશરાજસિંહે તુરંત 108 ઈમરજન્સી (Emergency) સેવાને કોલ કર્યો હતો.
જ્યારે 108ની ટીમ પહોંચી અને તપાસ બાદ રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા, ત્યારે આ આઘાત સહન ન કરી શકતા યશરાજસિંહે પોતાની માતા અને પેરામેડિકલ સ્ટાફની નજર સામે જ પોતાની જાતને ગોળી મારી દીધી હતી.
યશરાજસિંહ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB)માં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પરિવારના એકના એક પુત્ર હતા. આ ઘટનાની જાણ થતા જ ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ શક્તિસિંહ ગોહિલના નિવાસ્થાને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ભાજપ નેતા જયરાજસિંહ પરમારે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી.
બનાવ સમયે યશરાજસિંહના 60 વર્ષીય માતા ઘરમાં હાજર હતા. દંપતી થોડા દિવસોમાં વિદેશ જવાના હતા અને તે માટેની તૈયારીઓ ચાલી રહી હતી. યશરાજસિંહને હથિયારો અને ગાડીઓનો શોખ હતો, પરંતુ તેમને કોઈ વ્યસન નહોતું.
વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એફએસએલ (FSL)ની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને તેમના વતન ભાવનગરના લીમડા ગામે અંતિમ વિધિ (Funeral) માટે લઈ જવામાં આવ્યા છે.
