રાજકોટ (Rajkot) નજીક આવેલા ગુંદા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ લીંબાસીયાએ ગાય આધારિત ખેતીને (Cow Based Farming) આધુનિક વ્યવસાય સાથે જોડીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાની ગૌશાળામાં 220 ગાયોના સંવર્ધન સાથે ‘ઝીરો વેસ્ટ-અર્નિંગ બેસ્ટ’ (Zero Waste – Earning Best) મોડલ વિકસાવ્યું છે. આ મોડલ દ્વારા તેઓ છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) અને ઓર્ગેનિક ખાતર બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે.
બાયોગેસ પ્લાન્ટ અને ‘અમૃત જળ’નો જાદુ રાજેશભાઈએ સરકારની સહાયથી આશરે 2 કરોડ રૂપિયાના ખર્ચે 320 ઘન મીટરની ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટમાંથી દરરોજ 1,00,000 લીટર લિક્વિડ ઓર્ગેનિક ખાતર (Liquid Organic Fertilizer) તૈયાર થાય છે, જેને તેઓ ‘અમૃત જળ’ તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત, તેઓ અળસિયાની મદદથી વર્મી કમ્પોસ્ટ (Vermi Compost) અને ઘન જીવામૃત પણ બનાવે છે. તેઓ પ્રતિ કિલો 70 રૂપિયાના ભાવે ખાતરનું વેચાણ કરીને માસિક લાખોની આવક મેળવે છે.
બાગાયતી ખેતીમાં મબલખ ઉત્પાદન પોતાની 20 વીઘા જમીનમાં તેઓ પ્રાકૃતિક ખેતી (Natural Farming) દ્વારા ગલગોટા, મરચાં, ટામેટા અને સરગવાનું ઉત્પાદન લે છે. ખાસ કરીને ઓર્ગેનિક ખાતરના પ્રતાપે એક જ સરગવાના ઝાડમાંથી 15 મણ જેટલું ઉત્પાદન મળે છે. રાજેશભાઈ માત્ર પોતે જ નહીં, પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 1500 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને વીઘે 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ મોડલ દ્વારા તેઓ ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products) અને ઊર્જા બચત (Energy Saving) દ્વારા ગૌશાળાનો તમામ ખર્ચ કાઢીને નફો મેળવી રહ્યા છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.
