વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમના 132મા એપિસોડ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. વર્તમાનમાં અમેરિકા (USA), ઇઝરાયલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો પર ચિંતા વ્યક્ત કરતા PM મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત આ પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તે વિશ્વની ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આ સંઘર્ષના કારણે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel) ના પુરવઠા પર અસર પડી રહી છે અને વૈશ્વિક ઉર્જા સંકટ (Energy Crisis) જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
PM મોદીએ દેશવાસીઓને અફવાઓથી સાવધાન રહેવા ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ ૧૪૦ કરોડ ભારતીયોના હિતનો વિષય છે અને નાગરિકોએ માત્ર સરકાર દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી (Official Information) પર જ ભરોસો રાખવો જોઈએ.
અફવા ફેલાવવી એ દેશનું મોટું નુકસાન છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાડી દેશો (Gulf Countries) માં વસતા 1 કરોડથી વધુ ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ખાડી રાષ્ટ્રોનો આભાર માન્યો હતો, જેઓ ત્યાં વસતા ભારતીયોને દરેક પ્રકારે મદદ કરી રહ્યા છે.
વડાપ્રધાને 2026 ના માર્ચ મહિનાની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખી દુનિયા એવી અપેક્ષા રાખતી હતી કે કોરોના સંકટ બાદ પ્રગતિ થશે, પરંતુ સતત યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ સર્જાતી રહી છે.
જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ભારતે જે સામર્થ્ય કેળવ્યું છે, તેના કારણે આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમતાથી ટકી રહ્યા છીએ. જેમ ભારતે ભૂતકાળમાં મોટા સંકટોને હરાવ્યા છે, તેમ આ ઉર્જા સંકટમાંથી પણ આપણે સુરક્ષિત રીતે બહાર આવીશું.
