Hantavirus Vaccine | તાજેતરમાં એમવી હોન્ડિયસ (MV Hondius) નામના લક્ઝરી ક્રૂઝ શિપ પર હંતાવાયરસ (Hantavirus) ના કેસો સામે આવતા સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનામાં 3 પ્રવાસીઓના મોત બાદ લોકોમાં એવી દહેશત છે કે શું આ કોરોના જેવી કોઈ નવી મહામારી (Pandemic) ની શરૂઆત છે? જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે હંતાવાયરસ અને કોવિડ-19 (COVID-19) વચ્ચે મોટો તફાવત છે. હંતાવાયરસ મુખ્યત્વે ઉંદર (Rodents) દ્વારા ફેલાતો વાયરસ છે અને તે કોરોનાની જેમ હવામાં સરળતાથી ફેલાતો નથી.
હંતાવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?
હંતાવાયરસ એ ઝૂનોટિક (Zoonotic) રોગ છે, જે ઉંદરોના મળ, પેશાબ અને લાળના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાય છે. જ્યારે આ ઉત્સર્ગ પદાર્થો સુકાઈ જાય છે અને ધૂળ સાથે હવામાં ભળે છે, ત્યારે શ્વાસ લેતી વખતે તે માનવ શરીરમાં પ્રવેશ કરે છે. તે મુખ્યત્વે બે પ્રકારની બીમારીઓ કરે છે: પ્રથમ હંતાવાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ (HPS), જે ફેફસાં પર હુમલો કરે છે અને બીજું હેમોરેજિક ફીવર વિથ રીનલ સિન્ડ્રોમ (HFRS), જે કિડનીને અસર કરે છે.
કોરોના અને હંતાવાયરસ વચ્ચેનો તફાવત
કોરોનાવાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં વાતચીત કરવા, ખાંસી કે છીંક દ્વારા ખૂબ જ ઝડપથી ફેલાતો હતો. તેની સરખામણીમાં હંતાવાયરસમાં ‘હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન’ (Human-to-human transmission) અત્યંત દુર્લભ છે. માત્ર એન્ડીઝ સ્ટ્રેન (Andes strain) જ ગાઢ સંપર્ક દ્વારા ફેલાઈ શકે છે. આ વાયરસનો ઇન્ક્યુબેશન પિરિયડ (Incubation period) 1 થી 8 અઠવાડિયાનો હોય છે, જે કોરોનાના 2 થી 14 દિવસ કરતા ઘણો લાંબો છે.
વેક્સિનની સ્થિતિ અને પડકારો
વર્ષે 60,000 થી 1,00,000 લોકો સંક્રમિત થતા હોવા છતાં, હાલમાં અમેરિકા કે યુરોપમાં હંતાવાયરસની કોઈ માન્ય વેક્સિન (Vaccine) ઉપલબ્ધ નથી. જોકે, અમેરિકન કંપની મોડર્ના (Moderna) હવે mRNA ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેક્સિન બનાવવા પર કામ કરી રહી છે. 2023 થી દક્ષિણ કોરિયાની યુનિવર્સિટી સાથે મળીને પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સ (Pre-clinical trials) ચાલી રહ્યા છે. ઉંદરો પરના પરીક્ષણમાં સારા પરિણામો મળ્યા છે, પરંતુ માનવ પરીક્ષણો (Human trials) હજુ બાકી છે. નોંધનીય છે કે આ વેક્સિન કિડનીને અસર કરતા સ્ટ્રેન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ક્રૂઝ શિપ પર જોવા મળેલો સ્ટ્રેન અલગ છે.
ઈલાજ અને સાવચેતી
હંતાવાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા નથી. તેનો ઈલાજ માત્ર લક્ષણોના આધારે (Symptomatic treatment) કરવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીને આઈસીયુ (ICU) અને વેન્ટિલેટર (Ventilator) ની જરૂર પડે છે. HPS માં મૃત્યુદર 40% જેટલો ઊંચો છે, જે ચિંતાનો વિષય છે. નિષ્ણાતો માને છે કે જો mRNA પ્લેટફોર્મ સફળ રહેશે, તો ભવિષ્યમાં તેની રસી ઝડપથી ઉપલબ્ધ થઈ શકશે. હાલમાં ઉંદરોથી અંતર જાળવવું અને સ્વચ્છતા રાખવી એ જ શ્રેષ્ઠ બચાવ છે.
