Gujarat Diesel Shortage | ઇઝરાયેલ, અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) તથા વૈશ્વિક ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત (Diesel Shortage) વર્તાઈ રહી છે. આ કટોકટીના લીધે રાજ્યના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો ઇંધણની આ અછત વહેલી તકે દૂર નહીં થાય, તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડાં થંભી જશે. આર્થિક મંદી અને ડીઝલની તંગીના બેવડા ફટકાથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની કમર ભાંગી ગઈ છે, જેના પગલે એસોસિયેશને ગુજરાત સરકાર (Government of Gujarat) સમક્ષ તાકીદે રજૂઆત કરી છે.
હાલમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો (Petrol Pumps) પર ‘ડીઝલ નથી’ તેવા પાટિયા જોવા મળી રહ્યા છે. પંપ માલિકોના જણાવ્યા અનુસાર, પહેલાં જ્યાં નિયમિત સપ્લાય હતો, ત્યાં હવે 5 દિવસે માંડ 1 ટેન્કર મળી રહ્યું છે.
આ અપૂરતા જથ્થાને કારણે વાહનચાલકોને મર્યાદિત લિટર જ ઇંધણ આપવામાં આવે છે, જેથી લાંબા અંતરના ટ્રકચાલકો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. માલસામાનની સમયસર ડિલિવરી ન થતાં બજારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચવાની આશંકા છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (AGTTA) આ મામલે મેદાને આવ્યું છે. તેમણે જણાવ્યું કે જો આ જ સ્થિતિ રહી તો લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે. બીજી તરફ, ડીઝલની કટોકટીના કારણે મુસાફરી સેવાઓ પણ ખોરવાઈ છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય રૂટ પર ખાનગી લક્ઝરી બસો (Private Luxury Buses)ના સંચાલનમાં 30 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરોનું કહેવું છે કે મોંઘા ડીઝલ અને અનિયમિત પુરવઠા વચ્ચે બસ ચલાવવી આર્થિક રીતે પોષાય તેમ નથી.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35 થી 40 ટકાનો ઉછાળો આવ્યો છે, જેના કારણે પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારે આ મુદ્દે કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં ચર્ચા કરી છે અને લોકોને અપીલ કરી છે કે અફવાઓથી સાવધાન રહેવું, રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. જોકે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.
