Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકાના બેલવ્યુમાં પત્નીની હત્યાના આરોપમાં અવિનાશ નારણે ઝડપાયો

Chief Editor July 7, 2026
avinash-narne-charged-wife-murder

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના બેલવ્યુ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કાળજું કંપાવતો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. મૂળ તેલંગાણાના વતની અને અમેરિકામાં કાર્યરત 30 વર્ષીય ભારતીય સોફ્ટવેર એન્જિનિયર અવિનાશ નારણે પર પોતાની પત્ની રાજીથા સબ્બીનેનીની ગળું દબાવીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો અને ત્યારબાદ ગુનાને છુપાવવા માટે આખું નાટક રચવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

લગ્નના માત્ર ચાર જ મહિનામાં બનેલી આ ઘટનાના આશરે આઠથી નવ મહિના લાંબી ચાલેલી ઊંડી તપાસ બાદ, પોલીસે ફોરેન્સિક, ડિજિટલ પુરાવા અને પત્નીના જ એક જૂના મેસેજના આધારે અવિનાશ નારણેની ‘ફર્સ્ટ-ડિગ્રી મર્ડર’ (પૂર્વયોજિત હત્યા) ના ગુના હેઠળ ધરપકડ કરી છે. અદાલતે તેની ગંભીરતાને જોતા $૫ મિલિયન (આશરે ૪૧ કરોડ રૂપિયાથી વધુ) ની માતબર રકમનો જામીન સેટ કર્યો છે.

સ્મૂધીનો એ કડવો સ્વાદ અને ‘કફ સિરપ’ વાળો ક્લૂ

આ સમગ્ર હાઇ-પ્રોફાઇલ મર્ડર મિસ્ટ્રીમાં સૌથી મોટો વળાંક 27 વર્ષીય રાજીથા સબ્બીનેનીએ તેના મોતના દિવસે જ તેના પતિ અવિનાશને મોકલેલા એક ટેક્સ્ટ મેસેજથી આવ્યો.

રાજીથાએ મેસેજમાં લખ્યું હતું કે, અવિનાશે તેના માટે જે ‘સ્મૂધી’ (Smoothie) તૈયાર કરી હતી, તેનો સ્વાદ અત્યંત કડવો હતો અને તે “જાણે કફ સિરપ (Cough Syrup) જેવી” લાગતી હતી. આ સિવાય, રાજીથાએ તેના મોતના થોડા દિવસો પહેલા તેની એક સહેલીને પણ જણાવ્યું હતું કે તેનો પતિ તેને કડવી સ્મૂધી પીવડાવે છે.

જ્યારે ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ રાજીથાની લાશ ઘરના લોક થયેલા બાથરૂમમાંથી મળી આવી, ત્યારે અવિનાશે ૯૧૧ પર કોલ કરીને પોલીસને એવું નાટક બતાવ્યું કે તે બહાર કોઈ કામથી ગયો હતો અને તેની પત્નીની તબિયત ખરાબ હોવાથી કદાચ કફ સિરપ પીવાના કારણે તેનું મોત થયું છે. પરંતુ, પીડિતાના આ જ મેસેજે પોલીસને મોટો ક્લૂ આપ્યો અને તપાસની દિશા બદલાઈ ગઈ.

ઓટોપ્સી રિપોર્ટ અને ડિજિટલ પુરાવાએ ખોલી પોલ

શરૂઆતમાં આ કેસ અચાનક થયેલા શંકાસ્પદ મોત તરીકે જોવામાં આવતો હતો, પરંતુ જ્યારે રાજીથાનો ઓટોપ્સી (પોસ્ટમોર્ટમ) રિપોર્ટ આવ્યો ત્યારે હોશ ઉડી ગયા.

રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે રાજીથાનું મોત કોઈ બીમારી કે દવાના ઓવરડોઝથી નહીં, પરંતુ મેન્યુઅલ સ્ટ્રેન્ગ્યુલેશન એટલે કે હાથથી ગળું દબાવવાને કારણે દમ ઘૂંટાવાથી (Asphyxia) થયું હતું.

પતિ અવિનાશે વાર્તા ઘડી હતી કે કોઈ અજાણ્યો ઘૂસણખોર (Intruder) ઘરમાં આવ્યો હોઈ શકે છે. પરંતુ બેલવ્યુ પોલીસે જ્યારે એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રોનિક સિક્યોરિટી સિસ્ટમ અને સીસીટીવીના ડિજિટલ રેકોર્ડ્સ તપાસ્યા, ત્યારે સાબિત થયું કે તે ચોક્કસ સમયગાળા દરમિયાન એપાર્ટમેન્ટમાં કોઈ બહારની વ્યક્તિએ પ્રવેશ કર્યો જ નહોતો.

ઘરમાં માત્ર અવિનાશ અને રાજીથા જ હતા, જેનો સીધો અર્થ એ થયો કે અવિનાશ સિવાય અન્ય કોઈ આ હત્યા કરી શકે તેમ નહોતું. ઉપરાંત, અવિનાશની ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીમાંથી તે અલગ-અલગ ઝેર વિશે સર્ચ કરતો હોવાના પુરાવા પણ મળ્યા હતા.

ભારતમાં રહેતી ગર્લફ્રેન્ડ અને લાશનો ફોટો

પોલીસ તપાસમાં જે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો તે અવિનાશના ગુપ્ત પ્રેમ સંબંધોનો હતો. અવિનાશ ભારતમાં રહેતી એક યુવતી (જે તેની ગર્લફ્રેન્ડ હોવાનું મનાય છે) ના સતત સંપર્કમાં હતો.

નવાઈની વાત એ છે કે આ યુવતી જૂન 2025 માં અવિનાશ અને રાજીથાના લગ્નમાં પણ હાજર રહી હતી. લગ્ન પછી રાજીથા ટેક્સાસથી શિફ્ટ થઈને સીયેટલ (બેલવ્યુ) માં અવિનાશ સાથે રહેવા આવી હતી, તેમ છતાં અવિનાશે આ સંબંધ ચાલુ રાખ્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, હત્યાના દિવસે જ અવિનાશે આ યુવતીને ૪ વખત ફોન કર્યા હતા, જેમાંનો એક કોલ તો એ સમયે હતો જ્યારે તે બાથરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હોવાનો ડોળ કરી રહ્યો હતો.

આટલું જ નહીં, હત્યા કર્યા બાદ અવિનાશે રાજીથાની લાશનો ફોટો પણ તે યુવતીને મોકલ્યો હતો. જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી અને ડિલીટ કરાયેલા મેસેજ વિશે પૂછ્યું, ત્યારે અવિનાશે કબૂલાત કરી હતી કે તેણે લાશનો ફોટો ભારત મોકલ્યો હતો.

તેલુગુ સમુદાય પણ આઘાતમાં

આ ઘટના બાદ સ્થાનિક તેલુગુ એસોસિએશન અને ભારતીય સમુદાયના સ્વયંસેવકો, જેમણે રાજીથાના અંતિમ સંસ્કારની વિધિમાં અવિનાશને મદદ કરી હતી, તેઓ આ ખુલાસાથી ભારે આઘાતમાં છે.

એક સ્વયંસેવકે મીડિયાને જણાવ્યું કે, “જ્યારે અમે અવિનાશ સાથે વાત કરી ત્યારે તેના હાવભાવ પરથી સહેજ પણ એવું નહોતું લાગતું કે આ કોઈ મર્ડર કેસ છે કે તે પોતે જ આમાં શંકાના દાયરામાં છે. તેણે ખૂબ જ સામાન્ય રહીને અંતિમ સંસ્કારની તમામ કાનૂની વિધિઓ પૂરી કરી હતી. જ્યારે પોલીસના સત્તાવાર આરોપો સામે આવ્યા ત્યારે અમને મોટો ઝટકો લાગ્યો હતો.”

અવિનાશે તે સમયે સમુદાયના લોકોને વાર્તા કહી હતી કે રાજીથા સવારથી જ બીમાર હતી અને તેણે ફોન કરીને દવા-ખાવાનું મંગાવ્યું હતું, અને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી.

આજીવન કેદની સજાની સંભાવના

મહિનાઓ સુધી ચાલેલી ફોરેન્સિક અને ડિજિટલ પુરાવાઓની કડીઓ જોડ્યા બાદ, 27 જૂનના રોજ પોલીસે અવિનાશને ફરીથી પૂછપરછ માટે બોલાવ્યો અને પુરાવાઓ સામે રાખી તેની ધરપકડ કરી લીધી.

કોર્ટમાં સરકારી વકીલોએ દલીલ કરી હતી કે અવિનાશ નારણેના ભારત સાથે સીધા સંબંધો હોવાથી અને ગુનાની ગંભીરતા જોતા તે અમેરિકા છોડીને ભાગી શકે છે (Flight Risk), તેથી તેનો જામીન અધધ $5 મિલિયન રાખવામાં આવે.

વોશિંગ્ટન સ્ટેટના કાયદા અનુસાર, જો અવિનાશ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો ગુનો કોર્ટમાં સાબિત થઈ જશે, તો તેને કોઈ પણ પેરોલ વગર આજીવન કેદ (Life Imprisonment) ની સજા ભોગવવી પડશે. હાલ આ કેસની વધુ કાનૂની કાર્યવાહી અને તપાસ ચાલુ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Murder (હત્યા) Washington (વોશિંગ્ટન)

Post navigation

Previous: અદાણી+ મિસાઇલ + મધ્યપ્રદેશ
Next: કેનેડાના કેલગરીમાં ‘જય મહારાજ ગૃપ ‘ દ્વારા પિકનિક
Follow

Recent Posts

  • ‘સિએટલ સીહોક્સ’ ખરીદનાર ભારતીય મૂળના અબજોપતિ વિનોદ ખોસલા
  • આપ (AAP) ના પૂર્વ નેતા તાહિર હુસેન દોષિત જાહેર
  • ભારતે લોર્ડ્સમાં સૌપ્રથમ મહિલા ટેસ્ટ મેચ જીતી
  • મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આશંકા: ઈરાને જોર્ડન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર કર્યો મિસાઈલ અને ડ્રોન હુમલો
  • ભારતમાં હાલ નહીં આવે WhatsApp નું યુઝરનેમ ફીચર, કેન્દ્ર સરકારની ચેતવણી બાદ મેટાનો મોટો નિર્ણય
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.