- સાયબર ફ્રોડ અને ઇમ્પર્સનેશનના જોખમોને કારણે કેન્દ્ર સરકારે મોકલી નોટિસ
- મેટાએ રોલઆઉટ પર લગાવી રોક
WhatsApp username feature | ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) ના કરોડો ભારતીય યુઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. કંપની દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલું મોસ્ટ અવેટેડ ‘યુઝરનેમ’ ફીચર (Username Feature) હાલ પૂરતું ભારતમાં લોન્ચ કરવામાં આવશે નહીં.
ભારત સરકાર તરફથી સુરક્ષા અને પ્રાઇવસી મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ, વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta) એ આ ફીચરના રોલઆઉટને અટકાવી દેવાનો મોટો નિર્ણય લીધો છે.
સરકારે કેમ મોકલી નોટિસ?
વોટ્સએપના આ નવા ફીચર હેઠળ યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વિના માત્ર એક યુનિક યુઝરનેમ દ્વારા એકબીજા સાથે ચેટ શરૂ કરી શકે છે. કંપનીનો દાવો હતો કે આનાથી યુઝર્સની પ્રાઇવસી વધશે.
જોકે, કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું માનવું છે કે, જો મોબાઈલ નંબર છુપાવીને માત્ર યુઝરનેમ દ્વારા જ ચેટિંગ થશે, તો ઓનલાઇન ફ્રોડ (Online Fraud), ફિશિંગ (Phishing), ફેક આઈડી બનાવીને છેતરપિંડી કરવી (Impersonation) અને ‘ડિજિટલ અરેસ્ટ’ (Digital Arrest) જેવા સાયબર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ શકે છે, કારણ કે ગુનેગારોને ટ્રેક કરવા મુશ્કેલ બનશે.
૩ દિવસમાં માંગ્યો જવાબ
સરકારે મેટા કંપનીને સત્તાવાર નોટિસ મોકલીને આ ફીચરની ડિઝાઇન, સિક્યોરિટી મેકેનિઝમ અને દુરુપયોગ રોકવાના ઉપાયો વિશે ૩ દિવસની અંદર વિગતવાર ખુલાસો માંગ્યો હતો.
સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી સરકાર અને મેટા વચ્ચેની આ પૂછપરછ અને પરામર્શ પ્રક્રિયા સંતોષકારક રીતે પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ ફીચર ભારતમાં લાવી શકાશે નહીં.
મેટાની સફાઈ અને સુરક્ષાના દાવા
સરકારી નોટિસના જવાબમાં મેટાના પ્રતિનિધિમંડળે આઈટી મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ખાતરી આપી હતી કે સરકારની મંજૂરી વિના આ ફીચર ભારતમાં રોલઆઉટ કરવામાં આવશે નહીં.
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે નવું એકાઉન્ટ બનાવવા માટે મોબાઈલ નંબર તો ફરજિયાત રહેશે જ, અને યુઝરનેમ બનાવવું સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) હશે.
આ ઉપરાંત, ખોટી છેતરપિંડી રોકવા માટે સરકારી સંસ્થાઓ, જાહેર હસ્તીઓ, સેલિબ્રિટીઝ અને મેટા વેરિફાઇડ (Meta Verified) એકાઉન્ટ્સના યુઝરનેમ અગાઉથી જ રિઝર્વ (આરક્ષિત) રાખવામાં આવ્યા છે જેથી કોઈ તેમનો દુરુપયોગ ન કરી શકે. હાલમાં સરકાર મેટા દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબોની સમીક્ષા કરી રહી છે.
