Ahmedabad Agarbatti Factory Fire | અમદાવાદ (Ahmedabad)ના નરોડા વિસ્તારમાં આવેલ અમરનાથ એસ્ટેટમાં ગત મોડી રાત્રે અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.
મોડી રાત્રે લાગી વિકરાળ આગ
અમદાવાદ (Ahmedabad) ના નરોડા મુક્તિધામ પાસે આવેલ અમરનાથ એસ્ટેટના એક અગરબત્તીના કારખાનામાં ગુરુવારે રાત્રે આશરે 11:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. અગરબત્તી બનાવવાનો કાચો માલ અને અગરબત્તીનો જથ્થો અત્યંત જ્વલનશીલ (Inflammable) હોવાથી આગે જોતજોતામાં આખા કારખાનાને ઝપેટમાં લઈ લીધું હતું. સદનસીબે, ફેક્ટરી બંધ હોવાથી અંદર કોઈ મજૂર હાજર નહોતા, જેથી મોટી જાનહાની ટળી છે.
ફાયર વિભાગની કામગીરી
આગની જાણ થતા જ ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. 6ઠ્ઠી ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી કૂલિંગ (Cooling) ની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી જેથી ફરી આગ ન ભડકે.
રહેણાંક વિસ્તારમાં ફફડાટ: આ ફેક્ટરીની આસપાસ આશરે 30 જેટલી સોસાયટીઓ આવેલી હોવાથી સ્થાનિક લોકો ભયના માર્યા રસ્તા પર ઉતરી આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, આટલી મોટી દુર્ઘટના બાદ પણ કારખાનાના માલિક હજુ સુધી સ્થળ પર પહોંચ્યા નથી, જે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
તપાસ ચાલુ: આગ લાગવાનું ચોક્કસ કારણ (Reason) હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા શોર્ટ સર્કિટ (Short Circuit) કે અન્ય કોઈ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
