Breaking News

No direct link between air pollution and lung disease Minister Lord Ram was Muslim Trinamool MLA Madan Mitra sparks row gbu-students-develop-indias-first-mrna-based-therapy-to-boost-ivf-success-rates harsh Sanghvi inaugurates many projects including khakhi bhavan PF

MSME અંતર્ગતના તમામ પ્રશ્નોનો નિકાલ કરવા આગામી સપ્તાહમાં ‘ઝીરો પેન્ડન્સી’નો લક્ષ્યાંક: મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

ઉદ્યોગમંત્રીના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ

રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રહ્યાં ઉપસ્થિત

ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર અને ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગારને લગતી બાબતો અંગે થયો પરામર્શ

ધારાસભ્યશ્રીઓની રજૂઆતોને ધ્યાને લઇ સુયોગ્ય ઉકેલ લાવવા ઉચ્ચ અધિકારીશ્રીઓને સૂચના આપતા મંત્રીશ્રી

========================================================================================================

ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રી શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે. રાજ્યના માળખાકીય વિકાસમાં ઉદાહરણરૂપ એવા ધોલેરા એરપોર્ટનું કાર્ય આગામી વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જેના માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. રાજ્યના ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રસંશા કરતાં તેમણે કહ્યું હતું કે, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ને સ્પર્શતા તમામ પ્રશ્નોનો નિકાલ કરવા આગામી સપ્તાહમાં ‘ઝીરો પેન્ડન્સી’નો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે સરાહનીય કામગીરી છે. વધુમાં તેમણે શ્રમ અને રોજગારની યોજનાઓ તમામ ધારાસભ્યોને પહોંચે તે માટે વિભાગને સૂચન કર્યું હતું

રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ રાજ્યના મીઠા ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે અગરિયાઓની સુવિધાઓમાં હજુ વધારો કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ રોજગાર પ્રદાતા અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે કડીરૂપ છે. આ પોર્ટલ પર વધુને વધુ સેક્ટર સ્પેસિફિક ઉદ્યોગોને જોડવા માટે તેમણે સૂચના આપી હતી.

આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉદ્યોગ કમિશનરની કચેરી, કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી તેમજ શ્રમ અને રોજગારની વિવિધ કચેરીઓ દ્વારા જુદા-જુદા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં સંબંધિત વિભાગની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરાઈ હતી, જેના અનુસંધાને દ્વિપક્ષીય હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પરામર્શ સમિતિના સભ્ય સંસદસભ્ય-ધારાસભ્યશ્રીઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં, નવી જીઆઈડીસી કાર્યાન્વિત કરવા, નાગરિક ઉડ્ડયન અંતર્ગત રાજ્યના એરપોર્ટ્સનું સુદૃઢીકરણ કરવા, સ્માર્ટ સિરામિક પાર્ક સ્થાપવા, લઘુત્તમ વેતન, કામકાજના કલાકો સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી. સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી દ્વારા મહિલાઓ માટે અલાયદી ડ્રાઈવિંગ સ્કુલ ઊભી કરી રોજગારીની તકો ઊભી કરવા અંગે સૂચન કરવામાં આવ્યાં હતાં, જે અંગે યોગ્ય કરવા મંત્રીશ્રીએ તત્પરતા દર્શાવી હતી.

આ બેઠકમાં આમંત્રિત સભ્ય તરીકે સંસદસભ્ય શ્રી ભરતસિંહ ડાભી તથા ધારાસભ્યો સર્વે શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, શ્રી કનૈયાલાલ કિશોરી, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી ઈમરાનભાઈ ખેડાવાલાએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો.

આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી હરીત શુક્લા, જીઆઈડીસીના એમ.ડી. શ્રી રાહુલ ગુપ્તા, કુટિર અને ગ્રામોદ્યોગના સચિવ શ્રી પી. કે. સોલંકી, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે, નાગરિક ઉડ્ડયન નિયામક શ્રી નિતિન સાંગવાન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: