Breaking News

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એકતાનગર ખાતેથી મિશન લાઇફનું ગ્લોબલ લોચિંગ કરતા
જણાવ્યું કે, ભારત આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
દેશમાં વન વિસ્તાર વધવા સાથે વન્ય જીવોની સંખ્યામાં પણ વૃદ્ધ થઇ રહી છે. તબક્કાવાર લેવાયેલા પગલાંઓને
પરિણામે ભારત પર્યાવરણના સંરક્ષણની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, વિશ્વમાં ચાર ટનની સાપેક્ષે ભારતમાં કાર્બન ફૂટ પ્રિન્ટનું પ્રમાણ માત્ર પ્રતિ વ્યક્તિ
દોઢ ટન છે. ભારત જળ વાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે સૌથી અગ્રીમ હરોળમાં કામ કરી રહ્યું
છે. રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને સર્ક્યુલર ઇકોનોમી તો હજારો વર્ષોથી ભારતીય જીવનશૈલીના અંગ રહ્યા છે.
જલવાયુ પરિવર્તન સામેની લડાઈમાં વિશ્વમાં એકતાની મહત્વતા વ્યક્ત વડાપ્રધાનશ્રીએ જણાવ્યું
હતું કે, ભારતના ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના પરિસર એકતાનગરથી

વિશ્વના પહેલાં ‘મિશન લાઇફ’નું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે “વિશ્વની સૌથી મોટી પ્રતિમા નિર્ધારિત લક્ષ્યોને હાંસલ
કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
જ્યારે લક્ષ્ય અસાધારણ હોય છે, ત્યારે તેનું પરિણામ વિશાળ હોય છે”, તેમ કહેતા શ્રી મોદીએ
જણાવ્યું કે, પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પગલાં શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે નહેરો પર સોલાર પેનલ લગાવવાની હોય કે પછી જળ સંરક્ષણની યોજનાઓ
શરૂ કરવાની હોય, ગુજરાત હંમેશા અગ્રણી અને ટ્રેન્ડસેટર સ્ટેટ તરીકે આગળ આવ્યું છે.
જલવાયુ પરિવર્તન એ ફક્ત નીતિ સાથે સંબંધિત એક મુદ્દો છે તે વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય છે
આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દેવાને બદલે હવે તેમાં
જનશક્તિને જોડવાની જરૂર છે, તેમ જણાવતાં શ્રી મોદીએ ઉમેર્યું કે, લોકો આસપાસના વાતાવરણમાં જળવાયુ
પરિવર્તનની અસરો અનુભવી રહ્યા છે અને છેલ્લા કેટલાક દાયકાઓમાં અણધારી આફતો જોવા મળી છે. લોકોએ
વ્યક્તિગત, પરિવાર અને સમુદાય તરીકે જલવાયુ પરિવર્તનની અસરો સામે યોગદાન આપવું જોઇએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મિશન લાઇફનો મંત્ર ‘પર્યાવરણ માટેની જીવનશૈલી’ છે. આ વૈશ્વિક
અભિયાન પૃથ્વીની સુરક્ષા માટે લોકોની શક્તિઓને જોડે છે, અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવે છે.
“મિશન લાઇફ’’ પર્યાવરણના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં કરી શકાય તે બધું કરવા માટેની પ્રેરણા આપે છે.
મિશન લાઇફથી આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે,”

વડાપ્રધાનશ્રીએ વીજળીના બીલ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં LED બલ્બ
અપનાવવાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આનાથી મોટા પાયે બચત અને પર્યાવરણીય લાભો થયા અને આ એક
પુનરાવર્તિત કાયમી લાભ છે. પ્રતિ વર્ષ એક સો મેટ્રીક ટન કાર્બન ઉત્સર્જનથી બચી શકાય છે.
ગાંધીજી એવા ચિંતકોમાંના એક હતા જેમણે લાંબા સમય પહેલા પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ
સાથે સુમેળમાં જીવન જીવવાનું મહત્વ સમજ્યું હતું. તેમણે ટ્રસ્ટીશીપનો ખ્યાલ વિકસાવ્યો. મિશન લાઇફ આપણને
બધાને પર્યાવરણના ટ્રસ્ટી બનાવે છે. ટ્રસ્ટી એવી વ્યક્તિ છે જે સંસાધનોના આડેધડ ઉપયોગને મંજૂરી આપતી નથી.
ટ્રસ્ટી શોષક તરીકે નહીં પણ પોષક તરીકે કામ કરે છે તેનો વિશેષ ઉલ્લેખ વડાપ્રધાનશ્રીએ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે મિશન લાઇફ પી3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને ઉજાગર કરશે.
મિશન લાઇફ, પર્યાવરણ સંરક્ષણ માટે સમગ્ર વિશ્વના વિચારોમાં એકતા લાવે છે. ફોર ધી પ્લેનેટ, બાય ધી પ્લેનેટ,
ઓફ ધી પ્લેનેટના મૂળભૂત સિદ્ધાંતો પર તે કાર્ય કરે છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને જ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત
કરી શકાય છે. ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા છે. વેદોમાં પાણી, પૃથ્વી, જમીન, અગ્નિ અને
વાયુ-પવન જેવા પ્રકૃતિના તત્વોના મહત્વનો ચોક્કસ ઉલ્લેખ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અથર્વવેદને ટાંકીને કહ્યું, “‘માતા ભૂમિહ પુત્રોહમ્ પૃથ્વીહ’ એટલે કે પૃથ્વી આપણી માતા છે
અને આપણે તેના બાળકો છીએ.
વડાપ્રધાનશ્રીએ ‘રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ’ અને સર્ક્યુલર અર્થતંત્ર પર ભાર મૂકતા કહ્યું કે,
હજારો વર્ષોથી આ ભારતીયોની જીવનશૈલીનો એક ભાગ છે. તે આપણને પ્રકૃતિ સાથે સુમેળમાં ચાલવાની પ્રેરણા
આપે છે. મિશન લાઇફ પ્રકૃતિના સંરક્ષણને લગતી દરેક જીવનશૈલીનો સમાવેશ કરશે, જે આપણા પૂર્વજોએ અપનાવી
હતી અને તેને આજે આપણી જીવનશૈલીનો એક ભાગ બનાવી શકાય છે”, તેમણે કહ્યું
ભારત જલવાયુ પરિવર્તનના જોખમને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
શ્રી મોદીએ ઉમેર્યું કે, ભારતમાં વાર્ષિક માથાદીઠ કાર્બન ફૂટપ્રિન્ટ માત્ર દોઢ ટન છે, વિશ્વની સરેરાશ પ્રતિ વર્ષ ચાર ટન
છે.” તેમ છતાં, જલવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે ભારત મોખરે કામ કરી રહ્યું છે.
શ્રી મોદીએ ઉજ્જવલા યોજના, દરેક જિલ્લામાં ૭૫ ‘અમૃત સરોવર’ જેવી પહેલો અને સંપત્તિના બગાડ પર
અભૂતપૂર્વ ભાર મૂકવાની હિમાયત કરી. આજે ભારત વિશ્વમાં રિન્યુએબલ એનર્જી માટે ચોથા નંબરની સૌથી મોટી

ક્ષમતા ધરાવે છે. પવન ઊર્જામાં ચોથા અને સૌર ઊર્જામાં પાંચમા ક્રમે છે. છેલ્લા સાત આઠ વર્ષમાં ભારતની
પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં લગભગ ૨૯૦ ટકાનો વધારો થયો છે. નિર્ધારિત સમયમર્યાદાના ૯ વર્ષ પહેલા બિન-
અશ્મિ-ઇંધણ સ્ત્રોતોમાંથી ૪૦ ટકા ઇલેક્ટ્રિક ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલ
મિશ્રણનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો છે અને તે પણ સમયમર્યાદાના ૫ મહિના પહેલા. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન
દ્વારા, ભારત પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત તરફ આગળ વધ્યું છે. આનાથી ભારત અને વિશ્વના ઘણા દેશોને
તેમના નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે. તેવો વિશ્વાસ વડાપ્રધાને દર્શાવ્યો હતો.

વડાપ્રધાને ઉમેર્યું. પ્રગતિ અને પ્રકૃતિ કેવી રીતે સાથે મળીને ચાલી શકે છે તેનું ભારત એક મુખ્ય
ઉદાહરણ છે. હવે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, ત્યારે આપણો જંગલ
વિસ્તાર પણ વધી રહ્યો છે અને વન્યજીવોની સંખ્યા પણ વધી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડની વૈશ્વિક ઝુંબેશને ઉજાગર કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત
હવે આવા લક્ષ્યો તરફના તેના સંકલ્પને મજબૂત કરીને વિશ્વ સાથે તેની ભાગીદારી વધુ વધારવા માંગે છે. “ડિઝાસ્ટર
રેઝીલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંગઠનની રચનાનું નેતૃત્વ કરીને, ભારતે પર્યાવરણીય સંરક્ષણ તરફનો પોતાનો ખ્યાલ
વિશ્વને પહોંચાડ્યો છે. મિશન લાઇફ આ શ્રેણીનું આગલું પગલું છે. ભારત અને સંયુક્ત રાષ્ટ્રએ સાથે મળીને કામ કર્યું
છે, ત્યારે વિશ્વને વધુ સારી જગ્યા બનાવવાના નવા રસ્તાઓ મળી આવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આગામી વર્ષે આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ અંગે સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. મિશન લાઇફ તેને વિશ્વના
દરેક ખૂણે, દરેક દેશમાં લઈ જવામાં સફળ રહેશે.” “આપણે આ મંત્ર યાદ રાખવાનો છે – પ્રકૃતિ રક્ષાતિ રક્ષિતા: એટલે
કે જેઓ પ્રકૃતિનું રક્ષણ કરે છે, પ્રકૃતિ તેમનું રક્ષણ કરે છે. તેવું આહ્વાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ભારત સંયુકત રાષ્ટ્ર મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ માટે બીજા ઘર
જેવું છે અને તેઓ તેમની યુવાની દરમિયાન ઘણી વખત ભારતની યાત્રા કરી ચૂક્યા છે.
પ્રધાનમંત્રીશ્રીએ ભારતની મુલાકાત લેવાની તક લેવા બદલ શ્રી ગુટેરેસનો આભાર માન્યો હતો અને
જણાવ્યું હતું કે ગુજરાતમાં તેમનું સ્વાગત કરવું એ પરિવારના સભ્યને આવકારવા જેવું છે. પ્રધાનમંત્રીએ મિશન
લાઇફ પહેલને હાથ ધરવા માટે ભારતને જે સમર્થન આપ્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો અને આ શુભ અવસરે તેમના
અભિનંદન સંદેશા મોકલવા બદલ તમામ રાષ્ટ્રોના વડાઓનો આભાર માન્યો હતો.

શ્રી મોદીએ યુએન મહાસચિવ સાથે આ કાર્યક્રમ દરમિયાન મિશન લાઇફના ડોક્યુમેન્ટ, લોગો,

ટેગલાઇનું વિમોચન કર્યું હતું.
-: યુનોના મહાસચિવશ્રી એન્ટોનિયો ગુટેરેસ :-

યુનોના મહાસચિવશ્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે ધરતીને સંકટના આ કપરા કાળમાંથી
બચાવવા પર્યાવરણ માટે જીવનશૈલી – મિશન લાઇફ સમગ્ર વિશ્વ માટે આવશ્યક અને આશાસ્પદ બની રહેશે.
તમામ વ્યક્તિઓ અને સમુદાયો પૃથ્વીને બચાવવા સામૂહિક ભવિષ્યના રક્ષણના ઉકેલનો ભાગ
બનવા જોઈએ એવી હિમાયત કરતા શ્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું કે જલવાયુ પરિવર્તન, જૈવ વિવિધતાના
નુકશાન અને પ્રદૂષણની ત્રિવિધ કટોકટીના મૂળમાં વધુ પડતો વપરાશ છે. આપણી જીવનશૈલીને ટેકો આપવા માટે
૧.૬ ગ્રહ પૃથ્વીના સમકક્ષ ઉપયોગ કરી રહ્યા છીએ. આ અતિરેક અને અસમાનતા જટિલ છે.
તેમણે આશા વ્યક્ત કરી કે લાઇફ ચળવળની પહેલ સમગ્ર વિશ્વમાં ફેલાય. “ભારતે પર્યાવરણને
યોગ્ય નીતિઓ અને નવીનીકરણીય ઉર્જામાં રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા માટે કરેલી પ્રતિબદ્ધતાથી હું ખૂબ જ
પ્રોત્સાહિત થયો છું. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણને ચેમ્પિયન બનાવી, નવીનીકરણીય ક્રાંતિને બહાર લાવવાની જરૂર
છે.
યુનાઈટેડ નેશન ભારત સાથે કામ કરવા આતુર છું. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે,આ એજન્ડાને
આગળ વધારવા ઇજિપ્તમાં આગામી CoP ૨૭ અંગે ગહન ચર્ચા કરવામાં આવશે એટલું જ નહિ પેરિસ કરારના

તમામ સ્તંભો પર વિશ્વાસ વ્યક્ત કરવા અને કાર્યવાહીને વેગ આપવા મુખ્ય ભૂમિકા ભજવશે. જલવાયુ પરિવર્તનની
અસરો અને તેની વિશાળ અર્થવ્યવસ્થા પ્રત્યે ભારત એક મહત્વપૂર્ણ સેતુની ભૂમિકા ભજવી શકે તેમ છે તેમણે ઉમેર્યું
હતું.
મહાત્મા ગાંધીને ટાંકીને, શ્રી ગુટેરેસે કહ્યું, કે “દુનિયામાં દરેકની જરૂરિયાતો માટેના સંસાધનો પૂરતા
છે, પરંતુ દરેકને આજે લાલચ ઊભી થઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે કુદરતીના સંસાધનોને વિવેકપૂર્ણ અને
આદર સાથે વાપરવા જોઈએ.
યુએન સેક્રેટરી જનરલે અર્થવ્યવસ્થા અને જીવનશૈલીમાં બદલાવ સાથે પૃથ્વીના સંસાધનોને યોગ્ય
રીતે ઉપયોગ કરી શકીએ, તે બાબત તેમણે ભાર મૂક્યો હતો. ભારતને G20 નું પ્રમુખપદ મળ્યું તે ભારતના ઇતિહાસ,
સંસ્કૃતિ અને પરંપરા સાથે સંપૂર્ણ રીતે સુસંગતતાના નવા યુગની શરૂઆત કરવામાં મદદ કરશે. તેમ પણ તેમણે
જણાવ્યું હતું.
-: મુખ્યમંત્રીશ્રી :-

મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ
યુનિટીના સાનિધ્યમાં શરૂ કરાયેલું વૈશ્વિક મિશન લાઈફ ૨૧ મી સદીનું સૌથી મોટું પર્યાવરણ આંદોલન બની રહેશે,
તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યારે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ,સોલર એનર્જી અને ગ્રીન એનર્જીની
વાત થઈ રહી હતી, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની
દૂરદર્શિતા થકી અનેકવિધ કદમ ઉઠાવ્યા હતા.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમના નેતૃત્વમાં ગુજરાત
એશિયાનું પહેલું રાજ્ય હતું જેણે અલગથી ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો.તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં કેનાલટોપ, સોલાર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. દેશના
સરહદી વિસ્તાર ચારણકામાં ૭૩૦ મેગાવોટના સોલાર પાર્કની સ્થાપના પણ થઈ હતી. એટલું જ નહીં પણ વિશ્વ
જ્યારે કલાયમેટ ચેન્જ સામે લડવાના રસ્તાઓ શોધી રહ્યું હતું ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કન્વીનિઅન્ટ
એક્શન પુસ્તક દ્વારા સમગ્ર વિશ્વને આ સમસ્યાના સમાધાનનો રસ્તો બતાવ્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પર્યાવરણ સુરક્ષા અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રે પ્રધાનમંત્રીશ્રીના
યોગદાનને યુનોએ પણ બિરદાવ્યું છે જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૮ માં ચેમ્પિયન ઓફ ધ અર્થનું ગૌરવ સન્માન પણ
આપ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ભૂતકાળમાંથી પ્રેરણા લઈને વર્તમાનમાં કાર્યરત અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી
મિશન લાઈફને વૈશ્વિક આંદોલન બનાવવામાં આવી રહ્યું છે, જે ભારતમાં પર્યાવરણ મિત્ર સંસ્કૃતિ અને પરંપરાગત
પ્રથાઓનું નિર્માણ કરશે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પહેલ કરતાં ગુજરાત ચાર લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપના
ઇન્સ્ટોલેશન સાથે અગ્રેસર રહ્યું છે. તેમ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે આપણે સૌ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપસ્થિત
છીએ. ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ
યુનિટી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને સંકલ્પનું પરિણામ છે.

આ પ્રસંગે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી શ્રી મિનાક્ષી લેખી,
વિવિધ દેશના ભારત ખાતેના રાજદ્વારીઓ, નીતિ આયોગના સીઇઓ શ્રી પરમેશ્વરન ઐયર, ગુજરાતના મુખ્ય
સચિવ શ્રી પંકજ કુમાર, ક્લાયમેટ ચેન્જ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વિચારશીલો અને નીતિ આયોગના
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: