Ram Mandir donation row | અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા કરોડો રૂપિયાના દાન અને કિંમતી ઘરેણાંઓની કથિત ચોરી તથા હેરાફેરીનો મામલો સતત ઘેરો બની રહ્યો છે. આ હાઇ-પ્રોફાઇલ કૌભાંડની તપાસ કરી રહેલી ઉત્તર પ્રદેશ સરકારની વિશેષ તપાસ સમિતિ (SIT) સમક્ષ આ કેસના મુખ્ય ફરિયાદી અને પૂર્વ કારસેવક સંતોષ દુબેએ કેટલાક અત્યંત મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ સોંપ્યા છે. સંતોષ દુબેએ દાવો કર્યો છે કે આ દસ્તાવેજોના આધારે દાન ચોરીના આ મોટા રેકેટમાં સામેલ કેટલાય પ્રભાવશાળી અને મોટા નામોનો પર્દાફાશ થશે અને કોઈ પણ ગુનેગાર બચી શકશે નહીં.
નવા પુરાવાઓથી તપાસ તેજ
મળતી માહિતી મુજબ, હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ સંતોષ દુબેએ એસઆઈટી (SIT) ને સોંપેલા દસ્તાવેજોમાં મંદિરમાં આવતા ચઢાવા, સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની એન્ટ્રીઓમાં થયેલી ગેરરીતિઓની વિગતો હોવાનું મનાય છે.
દુબેએ અગાઉ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો અને કર્મચારીઓ સામે 200 કરોડથી વધુની ઉથલપાથલનો આરોપ લગાવીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. SIT દ્વારા આ મામલે વીડિયો કોન્ફરન્સિંગ અને રૂબરૂ પૂછપરછ કરીને સંતોષ દુબેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
મોટા માથાઓની સંડોવણીની આશંકા
સંતોષ દુબેએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કરોડો રામભક્તોની આસ્થા સાથે જોડાયેલો સંવેદનશીલ વિષય છે. મંદિરમાં આવતી મોટી રકમ અને ભેટ-સોગાદોની ગણતરી પ્રક્રિયા દરમિયાન સીસીટીવી (CCTV) ફૂટેજ અને સુરક્ષાના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ નવા દસ્તાવેજો મળ્યા બાદ હવે એસઆઈટી ટ્રસ્ટના કેટલાક મોટા અધિકારીઓ અને શંકાસ્પદોની મુશ્કેલીઓ વધારી શકે છે. આ મામલે વિપક્ષી પક્ષો જેવા કે સપા અને કોંગ્રેસ પણ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે અને નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે.
