Narendra Modi Amit Shah
30 દિવસ સુધી જેલમાં રહેવા પર જશે PM અને CM ની ખુરશી, પરંતુ JPC એ સૂચવ્યો હટાવવાનો અસ્થાયી રસ્તો
PM CM removal bill | ભારતમાં હવે વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM) કે મંત્રીઓ જેલમાં રહીને સરકાર ચલાવી શકશે નહીં. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓને લાંબા સમય સુધી ન્યાયિક કસ્ટડી (Judicial Custody) માં રહ્યા બાદ પદ પરથી હટાવવા સંબંધિત ‘રિમૂવલ બિલ’ (Removal Bill) માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.
આ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC – Joint Parliamentary Committee) એ ૧૩૦માં સુધારા વિધેયક પર પોતાનો અહેવાલ રજૂ કરી દીધો છે, જેમાં કેટલાય મહત્વપૂર્ણ સુધારાઓની ભલામણ કરવામાં આવી છે.
જેલમાંથી સરકાર નહીં ચાલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ પોતાના સૂચનોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જેલમાંથી કોઈ પણ સરકાર ચાલવી જોઈએ નહીં. સમિતિની નવી ભલામણ અનુસાર, જો કોઈ વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM) કે મંત્રી ધરપકડ બાદ 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે છે, તો તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડશે.
જોકે, સમિતિએ આ લોકપ્રતિનિધિઓની ખુરશી હંમેશા માટે છીનવી લેવાને બદલે તેમને અસ્થાયી (Temporary) ધોરણે પદ પરથી હટાવવાની ભલામણ કરી છે. આ જોગવાઈ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, જો ભવિષ્યમાં કોઈ નેતા કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત થાય, તો તેમનું પદ હંમેશા માટે ન છીનવાય.
પદ પર પુનઃસ્થાપિત થવાની જોગવાઈ અને દાયરો સંસદીય સમિતિએ પોતાના સુધારામાં વધુમાં ઉમેર્યું છે કે, જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રી નિર્ધારિત સમય મર્યાદામાં કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય છે અથવા તો પ્રોસિક્યુશન (Prosecution) પક્ષ તેમની સામે આગળ કોઈ કાનૂની કાર્યવાહી નથી કરતો, તો તેઓ ફરીથી પોતાના પદ પર પુનઃસ્થાપિત (Reinstated) થઈ શકશે. આ સાથે જ જેપીસીએ ગંભીર ફોજદારી ગુનાઓની વ્યાખ્યા નક્કી કરીને આ બિલના દાયરાને પણ મર્યાદિત કરવાનું સૂચન આપ્યું છે.
‘સનસેટ ક્લોઝ’ ની ભલામણ આ અહેવાલમાં સમિતિ દ્વારા ‘સનસેટ ક્લોઝ’ (Sunset Clause) ની પણ ભલામણ કરવામાં આવી છે. સનસેટ ક્લોઝનો અર્થ એ થાય છે કે એક નિશ્ચિત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આ કાયદો આપોઆપ સમાપ્ત થઈ જશે. સંસદીય સમિતિના આ તમામ મહત્વના સુધારા અને અહેવાલ બાદ હવે આ બિલમાં મોટા ફેરફારોની તૈયારીઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી શકે છે.
