અમદાવાદ મંડળમાં ‘કવચ’ સંસ્કરણ 4.0ના વિસ્તરણને મંજૂરી

રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ‘કવચ’ સંસ્કરણ 4.0ના વિસ્તરણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મંડળના 598 રૂટ કિલોમીટરમાં ફેલાયેલા 48 બ્લોક સેક્શનમાં કવચ પ્રણાલી સ્થાપિત કરવામાં આવશે. આ કાર્ય માટે ₹140 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ભારતીય રેલવેના બાકીના માર્ગો પર એલટીઈ (LTE) આધારિત સંચાર નેટવર્ક સાથે કવચ પ્રણાલી ઉપલબ્ધ કરાવવાના વ્યાપક કાર્યક્રમ અંતર્ગત મંજૂર કરવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક અમદાવાદ શ્રી વેદ પ્રકાશે માહિતી આપતાં જણાવ્યું કે, અગાઉ અમદાવાદ મંડળના આશરે 702 રૂટ કિલોમીટર પર કવચ કાર્યને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી ચૂકી છે. વર્તમાન પ્રોજેક્ટની મંજૂરી સાથે મંડળના બાકીના રેલખંડો પણ કવચ પ્રણાલીના દાયરામાં આવી જશે. પરિણામે, અમદાવાદ મંડળનું સમગ્ર નેટવર્ક કુલ 1300 રૂટ કિલોમીટર સુધી કવચ પ્રણાલીથી આવરી લેવામાં આવશે અને મંડળ ‘કવચ 4.0’થી શત-પ્રતિશત સજ્જ બની જશે.
‘કવચ’ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી અત્યાધુનિક અને સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) પ્રણાલી છે, જેનો મુખ્ય હેતુ રેલ સંચાલનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ પ્રણાલી—
• સિગ્નલ પાસિંગ એટ ડેન્જર (SPAD) જેવી ઘટનાઓને અટકાવવામાં મદદરૂપ બને છે.
• જરૂરિયાત મુજબ આપોઆપ બ્રેક લગાવી અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળે છે.
• સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે.
• રેલ અકસ્માતો અને ટ્રેનો વચ્ચેની ટક્કરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે.
ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં પોતાના સમગ્ર નેટવર્ક પર કવચ પ્રણાલીનો તબક્કાવાર વિસ્તાર કરી રહી છે. અમદાવાદ મંડળમાં ‘કવચ 4.0’નું સંપૂર્ણ અમલીકરણ સુરક્ષિત, આધુનિક અને આત્મનિર્ભર રેલવે વ્યવસ્થાના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. આ પહેલ માત્ર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ ભારતીય રેલવેના ટેક્નોલોજીકલ આધુનિકીકરણની દિશામાં પણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
