Prateek Yadav Death | સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અખિલેશ યાદવના પરિવારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું (Prateek Yadav) 38 વર્ષની વયે લખનઉની (Lucknow) હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા યાદવ પરિવાર અને કાર્યકરોમાં શોકની લહેર દોડી ગઈ છે.
તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
મળતી માહિતી મુજબ, પ્રતીક યાદવને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે લખનઉની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ ભાજપ નેતા અપર્ણા યાદવના (Aparna Yadav) પતિ હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેમની સારવાર ચાલી રહી હતી.
લિવર અને ફેફસાની બીમારીથી પીડાતા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવને લિવર (Liver) અને લંગ્સ (Lungs) સંબંધિત ગંભીર બીમારીઓ હતી. અગાઉ તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં (Medanta Hospital) પણ અનેકવાર દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેઓ લાંબો સમય હોસ્પિટલમાં રહેવાનું પસંદ કરતા નહોતા અને તબિયત થોડી સુધરતા જ ડિસ્ચાર્જ (Discharge) લઈ લેતા હતા. તેઓ ફિટનેસ પ્રત્યે ખૂબ જ જાગૃત હતા અને જિમના બિઝનેસમાં (Gym Business) સક્રિય હતા, પરંતુ સ્વાસ્થ્યની આંતરિક સમસ્યાઓ જીવલેણ સાબિત થઈ.
અખિલેશ યાદવનું ભાવુક નિવેદન
પોસ્ટમોર્ટમ હાઉસ (Postmortem House) બહાર પત્રકારો સાથે વાત કરતા અખિલેશ યાદવે જણાવ્યું કે, પ્રતીક ખૂબ જ પ્રેમાળ છોકરો હતો અને હંમેશા પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહેતો હતો. અખિલેશે યાદ અપાવ્યું કે 2 મહિના પહેલા જ તેમની મુલાકાત થઈ હતી ત્યારે તેમણે પ્રતીકને સ્વાસ્થ્ય અને કામ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે વેપારમાં નુકસાનના કારણે ક્યારેક વ્યક્તિ માનસિક રીતે દબાણમાં આવી જતી હોય છે. આ કપરા સમયે સમગ્ર પરિવાર એકજૂથ (United) છે અને પરિવાર જે નિર્ણય લેશે તે મુજબ આગળની તપાસ અને કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે.
ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ
મોતનું સચોટ કારણ જાણવા માટે KGMU ના ડોક્ટરોની પેનલ (Panel) દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાની સંપૂર્ણ વિડિયોગ્રાફી (Videography) પણ કરવામાં આવી છે. હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમ હાઉસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરી દેવામાં આવી છે.
રાજકારણથી દૂર રહી બનાવ્યું અલગ નામ
પ્રતીક યાદવે લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી (Leeds University) MBA કર્યું હતું. રાજકીય પરિવાર હોવા છતાં તેમણે ક્યારેય સક્રિય રાજકારણમાં (Politics) રસ દાખવ્યો નહોતો. તેઓ રિયલ એસ્ટેટ (Real Estate) અને ફિટનેસ સેક્ટરમાં જાણીતું નામ હતા. વર્ષ 2017 ના એક ઇન્ટરવ્યુમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી લડવાને બદલે પોતાના કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
