વિકસિત ગુજરાતથી વિકસિત ભારત: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન્જિનિયરિંગ અને સુશાસનની અદભુત યાત્રા
**
જન સેવાથી રાષ્ટ્ર સેવાનાં ૨૫ વર્ષ: વિઝનરી લીડરશીપ અને આધુનિક ઈજનેરી કૌશલ્યથી કંડારેલી ગુજરાતની સ્વર્ણિમ વિકાસગાથા
**

ભારતરત્ન સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જન્મજયંતી નિમિત્તે ઉજવાતો ‘એન્જિનિયર્સ ડે’ એ માત્ર એક તારીખ નથી, પરંતુ ટેકનોલોજી, ઈનોવેશન અને ભવિષ્યના નિર્માણનો ઉત્સવ છે. આજના આ ખાસ દિવસે જ્યારે આપણે ગુજરાતની પ્રગતિની યાત્રા પર નજર કરીએ છીએ, ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને આધુનિક ઈજનેરી કૌશલ્યના ઉત્કૃષ્ટ સમન્વયથી ગુજરાતે વિશ્વના નકશા પર પોતાની એક અજોડ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે પાયા નાખ્યા હતા, આજે તે જ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં રાજ્યની અદભુત માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજી આધારિત સુશાસન મુખ્ય આધારસ્તંભ બન્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે માત્ર પથ્થર અને સિમેન્ટના માળખા નથી ઊભા કર્યા, પરંતુ એન્જિનિયરિંગ વિજ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરીને સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને સુગમ અને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે.
આજે ગુજરાતમાં આકાર લઈ રહેલા અનેકવિધ મેગા પ્રોજેક્ટ્સ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અદભુત વિઝન અને આધુનિક એન્જિનિયરિંગની અજાયબી સમાન છે. ગાંધીનગર ખાતે આવેલું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી અને ફાઇનાન્શિયલ હબ ‘ગિફ્ટ સિટી’ એ અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ અને ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજી ધરાવે છે, જેનું પ્રેરકબળ શ્રી નરેન્દ્ર મોદીના દૂરગામી વિચાર રહ્યાં છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને સરદાર સરોવર ડેમની ઉંચાઇથી લઈને અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરોમાં ઝડપથી વિસ્તરી રહેલી વિશ્વસ્તરીય મેટ્રો રેલ સેવાઓ ગુજરાતના ઈજનેરી કૌશલ્ય અને નિષ્ઠાનો જીવંત પુરાવો છે. બીજી તરફ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને ધોલેરા SIR એ ભવિષ્યના સ્માર્ટ ઔદ્યોગિક શહેરો માટે વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિનું નવું પ્રતીક બનીને ઊભરી રહ્યા છે.
વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાતે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જ નહીં, પરંતુ ગ્રીન એન્જિનિયરિંગ અને વોટર મેનેજમેન્ટમાં પણ વિશ્વને નવી દિશા બતાવી છે. ખાવડા ખાતે બની રહેલો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક સરકારના પર્યાવરણ-અનુકૂળ ટેકનોલોજી તરફના દ્રઢ અભિગમને પ્રદર્શિત કરે છે. તે જ રીતે, સૌની યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા નર્મદાના પાણીને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડીને ગુજરાતે વોટર એન્જિનિયરિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આ તમામ સિદ્ધિઓ પાછળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અથાક મહેનત અને અડગ મનોબળ રહેલું છે.

વડાપ્રધાનશ્રીની પ્રોત્સાહક નીતિઓને કારણે આજે ગુજરાતમાં સ્ટાર્ટ-અપ કલ્ચર, એન્જિનિયરિંગ રિસર્ચ અને સ્કીલ ડેવલપમેન્ટને અભૂતપૂર્વ વેગ મળ્યો છે, જે લાખો યુવા ઇજનેરોને પોતાની ક્ષમતા બતાવવા માટે નવું આકાશ પૂરું પાડે છે. જન સેવાથી રાષ્ટ્ર સેવાનાં ૨૫ વર્ષ પૂર્ણ કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના આ ગૌરવશાળી દિવસે, ગુજરાતને પ્રગતિ અને સમૃદ્ધિના શિખરો તરફ સતત આગળ ધપાવનાર તમામ કર્મયોગી એન્જિનિયરો અને ઈજનેરી વિઝન સાથે અવિરત વિકાસગાથા લખતી સરકારના પ્રશંસનીય પ્રયાસો ખરેખર બિરદાવવા યોગ્ય છે.
