Wayfair Ganesh Doormat | અમેરિકાની જાણીતી ઓનલાઇન રિટેલર કંપની વેફેર (Wayfair) પરથી ભગવાન ગણેશની તસવીર ધરાવતી ડોરમેટ (Doormat) ને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.
ગણેશજીની છબીવાળી આ ઇન્ડોર-આઉટડોર મેટ (Indoor-Outdoor Mat) ની કિંમત વેબસાઇટ પર 52.99 USD (આશરે રૂ. 4,400) રાખવામાં આવી છે. કંપનીએ તેની પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં આ મેટને “Wisdom and Good Fortune” (બુદ્ધિ અને સદ્ભાગ્ય) નું પ્રતીક ગણાવીને હોમ ડેકોર તરીકે પ્રમોટ કરી છે.
જોકે, હિન્દુ સમુદાય માટે ભગવાન ગણેશ માત્ર સુશોભનની વસ્તુ નથી પરંતુ તેઓ વિઘ્નહર્તા અને પૂજનીય દેવ છે. પગરખાં લૂછવા અથવા પગ મૂકવા માટે વપરાતી ડોરમેટ પર પૂજનીય દેવતાનું ચિત્ર મૂકવું એ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓનું અપમાન છે.
નેવાડા સ્થિત યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમ (Universal Society of Hinduism) ના પ્રમુખ રાજન ઝેડ (Rajan Zed) એ Wayfair ને આ પ્રોડક્ટ હટાવવા અને જાહેરમાં માફી માંગવા વિનંતી કરી છે.
તેમણે જણાવ્યું કે વાણિજ્યિક હેતુઓ માટે પવિત્ર હિન્દુ પ્રતીકોનો આવો અયોગ્ય ઉપયોગ Devotees (શ્રદ્ધાળુઓ) ની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરતી વખતે વેપારીઓએ યોગ્ય સંવેદનશીલતા દાખવવી જોઈએ. રાજન ઝેડે વેફેર (Wayfair)ના સહ-સ્થાપકો નિરાજ શાહ (Niraj Shah) અને સ્ટીવ કોનાઇન (Steve Conine) ને ઔપચારિક રીતે માફી માંગવા કહ્યું છે.
વેફેર (Wayfair) એ વર્ષ 2002માં સ્થાપિત થયેલી બોસ્ટન (Boston) સ્થિત એક મોટી ઈ-કોમર્સ કંપની છે. અગાઉ પણ વિદેશી માર્કેટમાં ચપ્પલ, ટોયલેટ સીટ અને ગાદલાં જેવી વસ્તુઓ પર હિન્દુ દેવી-દેવતાઓની તસવીરો છાપવા સામે વિરોધ થઈ ચૂક્યો છે. આ વિવાદ બાદ વૈશ્વિક રિટેલર્સ દ્વારા ધાર્મિક વસ્તુઓનું વેચાણ કરતી વખતે યોગ્ય સ્ક્રીનિંગ (Screening) પ્રક્રિયા રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.
