શંખેશ્વર: “જ્યાં શિક્ષણ મળે તે વિદ્યાશાળા કહેવાય, જ્યાં પૈસા મળે તે ટંકશાળા કહેવાય, જ્યાં કર્મ બંધાય તે કર્મશાળા કહેવાય ને માત્ર જ્યાં ધર્મ જ થાય તે ધર્મશાલા કહેવાય.” શંખેશ્વર મહાતીર્થમાં આવી જ એક જબરજસ્ત વિરાટ ધર્મશાળાનું નિર્માણ થયું છે, જે સમગ્ર શંખેશ્વરની આન, બાન અને શાન બની ગઈ છે.
વિનીત વિહાર સંકુલની આ ‘પુષ્પરેખા ધર્મશાળા’નો ઐતિહાસિક ઉદ્ઘાટન ઉત્સવ દેશ-પરદેશથી ઉમટેલી અપાર જનમેદનીની હાજરીમાં અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થયો છે. આ પ્રસંગે સમગ્ર જૈન સમાજ (Jain Samaj) અને જન-જનમાં આનંદ અને ઉલ્લાસનો મહાસાગર ઉમટ્યો હતો અને ચારેકોરથી આ અદ્ભુત કાર્ય માટે શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.
આ મંગલમય પ્રસંગે શંખેશ્વર તીર્થ (Shankheshwar Tirth) માં બિરાજમાન બધા જ સમુદાયોના આચાર્ય ભગવંતો તેમજ ખૂબ મોટી સંખ્યામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજો ખાસ પધાર્યા હતા. દેશ-પરદેશના ભાવિક ભક્તોના ઉદાર હાથે મળેલા દાનથી આ આલીશાન ધર્મશાળા શંખેશ્વર દાદાના મુખ્ય ગેટની બિલકુલ સામે નિર્માણ પામી છે, જે દેખાવમાં કોઈ ડાયમંડ સેટ (Diamond Set) જેવી ખૂબસૂરત લાગે છે.
આ ભવ્ય સંકુલના પ્રેરક પૂજ્ય ગુરૂદેવ ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા (Vijay Yashovarma Surishwarji Maharaja) છે. તેમની જ દિવ્ય પ્રેરણાથી શંખેશ્વર ગામમાં આજુબાજુના ૬૦ ગામોની ગરીબ અને જરૂરિયાતમંદ જનતા માટે એક વિરાટ જૈન હોસ્પિટલ (Jain Hospital) નું નિર્માણ ૧૪ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, આ હોસ્પિટલ માટેની જમીન તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી (Narendra Modi) દ્વારા ફાળવવામાં આવી હતી. આજે અનેક એમ્બ્યુલન્સો (Ambulance) અને આધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલને કારણે હજારો દર્દીઓના આશીર્વાદ આ સંસ્થાને મળી રહ્યા છે.
વિનીત વિહારના આ ભવ્ય ઉદ્ઘાટન નિમિત્તે શંખેશ્વર તીર્થમાં એક અત્યંત સુંદર પાણીની પરબ (પ્યાઉ) નું પણ નિર્માણ કરવામાં આવશે, જે સ્થાનિક ગ્રામજનો અને અહીં આવતા હજારો-લાખો યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ સાથે જ, શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ કે દર્શનાર્થે પધારતા હજારો સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ અને સ્વાસ્થ્ય સેવા માટે ‘જીતો-શ્રમણ આરોગ્યમ્’ (JITO Shraman Arogyam) દ્વારા ‘જીવાનંદ વૈદશાળા’ નું નિર્માણ કરવામાં આવશે. જેનો મંગલ પ્રારંભ પૂજ્ય ગુરૂદેવશ્રીના માંગલિક શ્રવણ સાથે કરવામાં આવ્યો હતો.
આ આધુનિક ધર્મશાળાના પ્રારંભથી શંખેશ્વર ભક્તિધામ અને જૈન સમાજમાં ભારે આનંદ-ઉત્સાહનો માહોલ છે. યાત્રાળુઓની સુવિધા અને સમાજ સેવાના આ શ્રેષ્ઠ સંકુલની સમગ્ર દેશભરમાં પ્રશંસા થઈ રહી છે.
