
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારે કોંગ્રેસના સાંસદોની એક બેઠક યોજાઈ હતી, જેમાં વરિષ્ઠ સાંસદ શશિ થરૂર ગેરહાજર રહ્યા હતા. આ સતત ત્રીજો મોકો છે જ્યારે થરૂરે આ પ્રકારની મહત્વની બેઠકથી અંતર જાળવ્યું છે. થરૂરે અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓની પ્રશંસા કરી હોવાથી કોંગ્રેસ પક્ષ સાથેના તેમના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક
સંસદ ભવનની એનેક્સી એક્સટેન્શન બિલ્ડિંગમાં આયોજિત આ બેઠકમાં સંસદના બાકી રહેલા શિયાળુ સત્ર માટેની રણનીતિ, વિપક્ષની એકતા અને સરકારને ઘેરવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસના લગભગ તમામ સાંસદો હાજર હતા, પરંતુ શશિ થરૂરની ગેરહાજરીના કારણે રાજકીય અટકળોનું બજાર ગરમ થયું છે.
જોકે, પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, થરૂરે પોતાની ગેરહાજરી અંગે પક્ષને અગાઉથી જાણ કરી દીધી હતી. બીજી તરફ, કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારી પણ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ની ટાઇમલાઇન મુજબ, શશિ થરૂર ગઈકાલે કોલકાતામાં એક કાર્યક્રમમાં હતા, જેના કારણે તેઓ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભાગ લઈ શક્યા ન હોવાનું માનવામાં આવે છે.
અગાઉ પણ બેઠકોથી અંતર
નોંધનીય છે કે આ પહેલો પ્રસંગ નથી જ્યારે થરૂરે કોંગ્રેસના સાંસદોની બેઠકમાંથી અંતર રાખ્યું હોય. અગાઉ પણ તેઓ બે વખત આવી બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા. 1 ડિસેમ્બરના રોજ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્પષ્ટતા કરી હતી કે તેમણે અગાઉના દિવસે યોજાયેલી કોંગ્રેસની વ્યૂહાત્મક જૂથની બેઠક જાણી જોઈને છોડી ન હતી, પરંતુ તે સમયે તેઓ કેરળથી પરત ફરતી ફ્લાઇટમાં હતા.
