Mehsana Pancha Village Liquor Ban Resolution | ગુજરાતમાં દારૂબંધી (Liquor Prohibition) હોવા છતાં અનેક જગ્યાએ વ્યસનનું દૂષણ જોવા મળે છે. ત્યારે મહેસાણા (Mehsana) જિલ્લાના ખેરાલુ તાલુકાના પાન્છા ગામે (Pancha Village) યુવાધનને બચાવવા માટે એક ઐતિહાસિક અને અનોખો ઠરાવ (Unique Resolution) પસાર કર્યો છે. ગામને વ્યસનમુક્ત (Addiction Free) બનાવવા માટે ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે જો કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે, તો તેને ગામના પાંજરામાં પૂરવામાં આવશે.
કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?
પાન્છા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના વ્યસનને કારણે અનેક યુવાનોએ અકાળે જીવ ગુમાવ્યા છે. પરિવારો બરબાદ થતા અટકાવવા માટે ગામના સરપંચ (Sarpanch) અને આગેવાનોએ ગ્રામસભા (Gram Sabha) બોલાવી હતી. આ બેઠકમાં તમામ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં હાજર રહીને ગામમાંથી દારૂની બદીને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે બાંહેધરી આપી હતી.
પાંજરામાં (Cage) પૂરવાની સજા અને પોલીસ કાર્યવાહી
ગ્રામસભામાં લેવાયેલા નિર્ણય મુજબ: (1) જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં જોવા મળશે, તો તેને ગામના ગોંદરે ખાસ બનાવેલા પાંજરામાં (Cage) પૂરવામાં આવશે. (2) દારૂ પીનાર વ્યક્તિને 12 કલાક સુધી આ પાંજરામાં રાખવામાં આવશે. (3) ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ (Police) હવાલે કરવામાં આવશે.
ગામના આગેવાન વિનુભાઈ અને સ્થાનિક પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સજા પાછળનો મુખ્ય હેતુ સામાજિક ક્ષોભ (Social Shame) અને કડક કાર્યવાહીનો ડર ઊભો કરવાનો છે. જેથી યુવાનો દારૂના રવાડે ન ચઢે.
સમગ્ર પંથકમાં વ્યસનમુક્તિની લહેર
ગામના સરપંચ અને પંચાયતના સભ્યોની આ પહેલને સોશિયલ મીડિયા (Social Media) અને સ્થાનિક પંથકમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રામજનો માને છે કે જો કોઈ વ્યક્તિ પાંજરામાં પુરાશે, તો તેની સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે અને આ ડરથી લોકો વ્યસન છોડવા પ્રેરાશે.
