Irfan Pathan Criticism | અફઘાનિસ્તાન સામેની આગામી વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. સ્થાનિક ક્રિકેટમાં (Domestic cricket) શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓની અવગણના થતાં પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર (Social media) સેલેક્ટર્સ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
રણજી ટ્રોફી (Ranji Trophy 2025-26) સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપીને જમ્મુ-કાશ્મીરને પ્રથમવાર ચેમ્પિયન બનાવનાર સ્ટાર ફાસ્ટ બોલર આકિબ નબીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ, જાન્યુઆરી મહિના પછી એક પણ મેચ ન રમનાર પંજાબના ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને વનડે અને ટેસ્ટ બંને ટીમમાં સામેલ કરી લેવાયો છે.
આકિબ નબીએ રણજી ટ્રોફીની આ સીઝનમાં ઘાતક બોલિંગ કરતા 10 મેચમાં 2.65 ની શાનદાર ઇકોનોમીથી (Economy) કુલ 60 વિકેટ ઝડપી હતી. તેણે કર્ણાટક સામેની ફાઇનલ મેચમાં 5 વિકેટ ઝડપીને જમ્મુ-કાશ્મીરને તેનું પ્રથમ રણજી ટાઇટલ જીતાડ્યું હતું અને તે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ (Player of the tournament) પણ બન્યો હતો.
સેલેક્ટર્સના આ નિર્ણયથી નારાજ ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર (X) પોસ્ટ કરીને પોતાની ભડાશ નીકાળી હતી. તેણે પસંદગીકારોને સલાહ આપતા લખ્યું કે, ‘રણજી ટ્રોફીના શાનદાર પ્રદર્શનને આ રીતે નિરુત્સાહિત ન કરો.’ આ નિર્ણય બાદથી જ ક્રિકેટ ફેન્સ અને નિષ્ણાતો વચ્ચે સ્થાનિક ક્રિકેટના મહત્વને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
