Shiv Sena unification | મહારાષ્ટ્રના રાજકારણમાં (Politics) શિવસેનાના બંને જૂથો (ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે) વચ્ચે ફરીથી મિલન થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ આ તમામ અટકળોને ફગાવી દીધી છે.
શિંદે જૂથના નેતા અબ્દુલ સત્તાર અને શિવસેના (UBT) ના નેતા અંબાદાસ દાનવેના તાજેતરના નિવેદનો બાદ ગઠબંધનની જે અફવાઓ શરૂ થઈ હતી, તેના પર શિંદેએ પૂર્ણવિરામ મૂક્યું છે.
એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી જ બાળાસાહેબ ઠાકરેના અસલી વિચારો અને હિન્દુત્વની વિચારધારાને (Ideology) આગળ વધારી રહી છે. તેમણે કહ્યું કે, “જનતાએ અમારી પાર્ટી, ધનુષ-બાણ પ્રતીક અને આનંદ દિઘેના વિચારોને આશીર્વાદ આપ્યા છે. અમને જનતાનો જનાદેશ (Mandate) મળ્યો છે.” શિંદેએ ઉદ્ધવ જૂથ સાથેની સુલેહ પર સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ તેઓ વર્તમાન સત્તાધારી ગઠબંધન (Coalition) સાથે મક્કમ હોવાના સંકેત આપ્યા છે.
બીજી તરફ, આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે નેતાઓએ ભાજપ (BJP) ના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરી. અંબાદાસ દાનવેએ આક્ષેપ કર્યો કે ભાજપ પ્રાદેશિક પક્ષોને નબળા પાડી રહી છે, જેમ ‘મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે’.
અબ્દુલ સત્તારે પણ સંકેત આપ્યા હતા કે જો શિંદે નિર્ણય લે તો બંને પક્ષોને સાથે આવતા વાર નહીં લાગે. જોકે, આ વિવાદમાં સંજય રાઉતે પલટવાર કરતા સત્તારને પૂછ્યું કે જો ભાજપ શિવસેનાને ખતમ કરી રહ્યો છે, તો તમે તેમની સાથે કેમ છો?
આ દરમિયાન, શિંદે જૂથની શિવસેનાએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની વિધાન પરિષદ ચૂંટણી (Legislative Council Election) માટે 4 બેઠકો પર નામાંકન દાખલ કર્યું છે. ઠાણે-પાલઘરથી રવિન્દ્ર ફાટક, નાસિકથી નરેન્દ્ર દરાડે, પરભણી-હિંગોલીથી સઈદ ખાન અને યવતમાલથી દુષ્યંત ચતુર્વેદીને મેદાનમાં ઉતારાયા છે.
શિંદેએ દાવો કર્યો છે કે મહાયુતિ (Mahayuti) તમામ 17 બેઠકો પર જીત મેળવશે અને બળવાખોરોના મુદ્દા 4 જૂનની સમયમર્યાદા પહેલા ઉકેલી લેવામાં આવશે. વર્ષ 2022 માં શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ બંને જૂથો વચ્ચે આ તીખી રાજકીય લડાઈ સતત ચાલી રહી છે.
