Breaking News

RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat
ambaji bhadarvi poonam maha mela 2025

અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: 30 લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે 750થી વધુ કારીગરો કાર્યરત અંબાજી મહા મેળા પ્રસાદ વ્યવસ્થા માટે 27થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરાશે

શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે.

આજરોજ અંબાજી ખાતે કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા આદ્યશક્તિની આરાધના કરી પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. પ્રસાદ ઘરની સ્વચ્છતા તથા સલામતી સહિત સુચારુ આયોજન સંદર્ભે કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. પ્રસાદ વ્યવસ્થા સમિતિ માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. જેમાં મોહનથાળ, ચિક્કીની પ્રસાદનું યોગ્ય રીતે સુપરવિઝન અને વિતરણની વ્યવસ્થા કરાશે.

શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તે માટે કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા સૂચન કરાયું હતું.

અંબાજી ખાતે બનાવવામાં આવતી પ્રસાદના એક ઘાણમાં ૩૨૬.૫ કી.ગ્રા.પ્રસાદ બનતો હોય છે. એક ઘાણમાં બેસન 100 કી.ગ્રા, ખાંડ 150 કી.ગ્રા, ઘી 76.5 કી.ગ્રા અને ઈલાયચી 200 ગ્રામ એમ કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે. ભાદરવી પૂનમ મહા મેળામાં મોહનથાળ પ્રસાદ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવતો નથી. મેળા દરમિયાન કુલ 1,000 ઘાણ બનાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે.

પ્રસાદ ઘરમાં કુલ ૭૫૦ જેટલા કારીગરો કામમાં રોકાયેલા છે. મેળા દરમ્યાન યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે મંદિર પરિસર તેમજ અલગ અલગ જગ્યાએ કુલ-27 જેટલા પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રસાદ ઘર શુભારંભ પ્રસંગે અધિક કલેક્ટરશ્રી અને અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી, જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી સહિત સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: