Akhilesh Yadav | ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત (All India Muslim Jamaat) એ સમાજવાદી પાર્ટી (Samajwadi Party – SP) ના વડા અખિલેશ (Akhilesh Yadav) યાદવ પાસે એક મોટી માંગ કરી છે.
જમાતે વિધિવત એક પત્ર લખીને અખિલેશ યાદવને અપીલ કરી છે કે તેઓ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈ મુસ્લિમ નેતાને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવના સમગ્ર પરિવાર પર મુસ્લિમોનું બહુ મોટું અહેસાન છે. તેથી હવે સમય આવી ગયો છે કે તેઓ આ અહેસાન ચૂકવે, સાથે જ પોતાની પાર્ટીના જ કોઈ મુસ્લિમ ચહેરાને આગળ કરીને વર્ષ 2027 ની ચૂંટણી લડે.
અખિલેશના સમગ્ર પરિવાર પર મુસ્લિમોનું અહેસાન
જમાત તરફથી કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં 22 ટકા મુસ્લિમો છે, જ્યારે યાદવ સમુદાયના લોકો માત્ર 7 ટકાની આસપાસ છે. એવામાં સમાજવાદી પાર્ટીની અંદર સૌથી મોટી ભાગીદારી મુસ્લિમોની જ બને છે.
ઇતિહાસ યાદ અપાવતા કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોએ જ મુલાયમ સિંહ યાદવને કેટલીય વાર મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યા. આ પછી અખિલેશ યાદવને પણ રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનું કામ મુસ્લિમ સમાજે જ કર્યું. એટલું જ નહીં, તેમના ભાઈ, કાકા, પત્ની અને ભત્રીજાઓને લોકસભા અને વિધાનસભામાં મોકલવામાં પણ મુસ્લિમોનો જ હાથ રહ્યો છે. આ સાથે એવો પણ દાવો કરાયો છે કે અખિલેશ યાદવના સમગ્ર પરિવારને હંમેશા મુસ્લિમ વોટોનો મોટો સહારો મળ્યો છે.
આ સાથે જ, જમાતે અખિલેશ યાદવને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ મુસ્લિમ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં નિષ્ફળ રહેશે, તો પછી 2027 માં મુસ્લિમ સમાજ પાસેથી અપેક્ષાઓ છોડી દે. જે જોશ અને જુસ્સા સાથે મુસ્લિમોએ વર્ષ 2022 ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને એકતરફી વોટ આપ્યા હતા, તેવું સમર્થન આ વખતે બિલકુલ નહીં મળે.
જો ભારે બહુમતીથી મુસ્લિમ વોટ જોઈતા હોય, તો અખિલેશ યાદવે એ સ્પષ્ટ કરવું પડશે કે આગામી મુખ્યમંત્રી તેઓ પોતે નહીં પરંતુ તેમની પાર્ટીના કોઈ મુસ્લિમ નેતા બનશે.
