POK Protest | ગુલામ જમ્મુ-કાશ્મીર (PoK) માં પાકિસ્તાની સરકાર અને તેની સેના દ્વારા સ્થાનિક લોકો પર કરવામાં આવી રહેલા અત્યાચાર અને દમનની ઘટનાઓ સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક હૃદયદ્રાવક વીડિયોમાં સ્થાનિક નાગરિકો પોતાની પીડા વ્યક્ત કરતા જોવા મળે છે.
પીડિત લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, “પાકિસ્તાની સરકાર અને તેની સેના અમારા પર બેફામ અત્યાચાર કરી રહી છે. ખુદાના વાસ્તે… ભારતીય સેના (Indian Army) અમારી મદદ કરે અને અમને આ નરકમાંથી મુક્ત કરાવે.” પાકિસ્તાની સેનાના દમનથી પીડાતા લોકો માટે હવે ભારતીય સેના જ એકમાત્ર આશાનું કિરણ દેખાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ગુલામ જમ્મુ-કાશ્મીર (POK)માં બંધારણીય અને નાગરિક અધિકારોની માગણી સાથે મોટું આંદોલન (Protest) ચાલી રહ્યું છે. પાકિસ્તાન સેનાના વડા આસિફ મુનીરની સેના આ જન આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.
ચૂંટણી બહિષ્કાર બાદ મુઝફ્ફરાબાદ તરફ જઈ રહેલા માર્ચને રોકવા માટે સેના અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક આ અથડામણ થઈ હતી. સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર (Firing) કર્યો હતો, જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલી ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ (Joint Awami Action Committee) ની કોર કમિટીના પ્રવક્તા ઉમર નઝીરના ભાઈ ઉસ્માન નઝીરનું પણ પાકિસ્તાની રેંજર્સની ગોળી વાગવાથી મોત થયું છે.
આ ઉપરાંત, સ્થાનિક તબીબી કર્મચારીઓને ઘાયલોની સારવાર કરતા રોકવામાં આવી રહ્યા છે અને તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે 13 શાળા-કોલેજોનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોનો અવાજ દબાવી શકાય. સત્ય બહાર ન આવે તે માટે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ (Internet Services) બંધ કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અનંતા ઇમરાન નામની યુવતીએ રડતા રડતા ભારતીય સેના અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદની ગુહાર લગાવી છે. તેણે કહ્યું કે લોકો પોતાના ગુમ થયેલા સ્વજનોને શોધી શકતા નથી.
વધુમાં, અન્ય એક મહિલાએ આંસુ સાથે અપીલ કરી હતી કે પાકિસ્તાનના અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા માટે ભારતીય સેનાએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ.
અધિકારો માટે લડી રહેલા લોકોનું કહેવું છે કે આ લડાઈ નિર્ણાયક મોડ પર પહોંચી ગઈ છે. આ માનવાધિકાર ઉલ્લંઘન (Human Rights Violation) અંગે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને માનવાધિકાર સંગઠનો સમક્ષ પણ સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી છે.
