PoK Death Toll | પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પરિસ્થિતિ સતત વણસી રહી છે. તાજેતરમાં સામે આવેલા જમ્મુ અને કાશ્મીર હ્યુમન રાઈટ્સ ઓબ્ઝર્વેટરી (JKHRO) ના 28 જુલાઈના અહેવાલ મુજબ, PoKમાં પાકિસ્તાની સુરક્ષા દળોના અત્યાચારને કારણે મૃત્યુઆંક વધીને 75 પર પહોંચી ગયો છે. રાવલાકોટ લોંગ માર્ચ (Rawalakot Long March) દરમિયાન સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા સીધા ગોળીબારમાં 31 નાગરિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ 5 જૂનથી 26 જુલાઈ વચ્ચે 44 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી હતી.
અહેવાલ અનુસાર, જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC), PoK પ્રશાસન અને પાકિસ્તાન સરકાર વચ્ચે 51 દિવસના શાંતિપૂર્ણ ધરણાં અને અસફળ વાટાઘાટો બાદ 27 જુલાઈએ મુઝફ્ફરાબાદ તરફ માર્ચ શરૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનકારીઓને રોકવા માટે રાવલાકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં PoK પોલીસ, પાકિસ્તાન રેન્જર્સ (Pakistan Rangers) અને ફ્રન્ટિયર કોર્પ્સના જવાનોની ભારે તૈનાતી કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ, લાઠીચાર્જ અને સીધા ગોળીબાર (Live Ammunition) સિવાય સ્નાઈપર ફાયરિંગ (Sniper Fire) નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો લાગ્યા છે.
ધારેક, ઈદગાહ, ડી-ચોક, નાળા બજાર અને સર્કિટ હાઉસ જેવા મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક કામગીરી જોવા મળી હતી. JKHROના જણાવ્યા મુજબ, ઘાયલોને સમયસર તબીબી સારવાર (Medical Access) મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. રસ્તાઓ બંધ હોવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા લોકોને લગભગ 40 કિલોમીટર દૂર પલાંદરી હોસ્પિટલ (Palandri Hospital) લઈ જવા પડ્યા હતા, જ્યાં વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય મિરપુરમાં પણ વધુ 5 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે.
આ હિંસામાં JAACના કોર સભ્ય ઓમર નઝીર કાશ્મીરીના ભાઈ ઉસ્માન નઝીરનું પણ મોત થયું છે, જેનાથી કાર્યકર્તાઓ અને તેમના પરિવારો પર વધી રહેલા ખતરા અંગે ચિંતા વધી છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં તમામ અટકાયતીઓની મુક્તિ, નોંધાયેલા કેસો પાછા ખેંચવા, સંચાર સેવાઓ (Communication Services) પુનઃસ્થાપિત કરવી અને માનવાધિકારોનું રક્ષણ કરવું શામેલ છે.
બીજી તરફ, હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ ઓફ પાકિસ્તાને (Human Rights Council of Pakistan) આ મામલે પાકિસ્તાની મીડિયાના મૌન સામે સવાલો ઉઠાવ્યા છે. સંસ્થાના ચેરમેન જમશેદ હુસૈને જણાવ્યું હતું કે, “મૌનથી સવાલો ઊભા થાય છે, જ્યારે ન્યાય પારદર્શિતા માંગે છે.” JKHRO એ આ ઘટનાઓની સ્વતંત્ર તપાસ માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના નિરીક્ષકો દ્વારા તપાસની માંગ કરી છે અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણોના ઉલ્લંઘન બદલ પાકિસ્તાન સરકારની ઘેરબંધી કરી છે.
