Patidar Andolan Cases | પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતમાં નોંધાયેલા કેસો પરત ખેંચવાની દિશામાં ન્યાયતંત્ર તરફથી મહત્ત્વના સમાચાર આવ્યા છે. વર્ષ 2018માં આંદોલન સમયે વરાછા પોલીસ મથકમાં ટ્રાફિક જામ અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવાના મુદ્દે નોંધાયેલા 2 કેસ પરત ખેંચવાની મંજૂરી કોર્ટે આપી દીધી છે.
સુરતના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીતેન્દ્રસિંહે સરકારની ‘કેસ વિથડ્રો’ કરવાની અરજી ગ્રાહ્ય રાખીને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વર્ષ 2018માં જેલમાંથી મુક્ત થયેલા કાર્યકરોના સ્વાગત માટે ‘પાસ’ (PAAS)ના અગ્રણીઓ વાહનો અને બાઇક રેલી સાથે નીકળ્યા હતા. આ રેલી દરમિયાન જાહેર રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. જે બદલ પોલીસે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને કોંગ્રેસ અગ્રણી અશોક જીરાવાલા સહિત 150 થી 200 કાર્યકરો સામે IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ કેસ જાહેર હિતમાં પરત ખેંચવા માટે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (APP) દિગંત તેવારે BNSSની કલમ-360 તથા CrPCની કલમ-321 હેઠળ કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે રેકોર્ડ પરના પુરાવા ધ્યાને લઈ, આરોપીઓનો કોઈ ગુનાઇત ઇરાદો ન હોવાનું નોંધીને બંને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે.
