Ek Ped Maa Ke Naam | વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત “એક પેડ મા કે નામ” અભિયાનના ત્રીજા તબક્કાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ થશે.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી આ રાજ્યવ્યાપી “એક પેડ મા કે નામ 3.0” મહાઅભિયાનનો શુભારંભ કરાશે. ગાંધીનગરના ‘જ’ રોડ પર લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સ નજીક 0.5 હેક્ટર વિસ્તારમાં ‘વનકવચ’ પદ્ધતિથી અંદાજે 5000 રોપાઓનું વાવેતર કરીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આ ગ્રીન કવર (Green Cover) અભિયાનને વેગવાન બનાવવામાં આવશે.
પર્યાવરણીય સંતુલન અને જીવ-વૈવિધ્ય (Biodiversity) ની જાળવણી માટે ગાંધીનગરમાં 57 જેટલી સ્થાનિક પ્રજાતિઓના રોપાનું ત્રિ-સ્તરીય વાવેતર કરાશે.
વન વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના લોકસભા વિસ્તારને ‘હરિયાળા લોકસભા’ બનાવવા માટે અંદાજે 500 હેક્ટરથી વધુ વિસ્તારમાં 50 લાખથી વધુ રોપાઓ વાવીને ‘વન કવચ – માઈક્રો ફોરેસ્ટ’ (Micro Forest) તૈયાર કરવાનું આયોજન છે.
આ મહાઅભિયાનના પ્રથમ દિવસે જ સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી કક્ષાએ નક્કી કરાયેલા 50 હજાર જેટલા જૂથો દ્વારા 12-12 રોપાઓનું વાવેતર કરીને કુલ 6 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, 8 થી 14 જૂન 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘પર્યાવરણ સપ્તાહ’ (Environment Week) ની ઉજવણી કરવામાં આવશે.
આ સપ્તાહ દરમિયાન તમામ 265 તાલુકાઓ અને વિધાનસભા વિસ્તારોમાં સઘન વૃક્ષારોપણ (Afforestation) કાર્યક્રમો યોજાશે. તાલુકા કક્ષાના વિવિધ કાર્યક્રમો દ્વારા 1.53 લાખથી વધુ રોપાઓનું વાવેતર અને 1.87 લાખથી વધુ રોપાઓનું સામાન્ય નાગરિકોને વિનામૂલ્યે વિતરણ (Free Distribution) કરવામાં આવશે. તેમજ તાલુકાઓના 861 નિયત સ્થળો પર વધુ 4.15 લાખ રોપાઓ વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાવવામાં આવશે. વન વિભાગે રાજ્યના પ્રત્યેક નાગરિક અને સામાજિક સંસ્થાઓને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેના જતન માટે અપીલ કરી છે.
