Manipur Violence News | મણિપુરમાં મૈતેઈ (Meitei) અને કુકી (Kuki) સમુદાય વચ્ચેનો વંશીય સંઘર્ષ હજુ શાંત થયો નથી, ત્યાં હવે નાગા (Naga) અને કુકી જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શુક્રવારે ઉખરુલ (Ukhrul) જિલ્લામાં થયેલી બે અલગ-અલગ ગોળીબાર (Firing) ની ઘટનાઓમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.
સીનાકેઈથેઈ (Sinakeithei) અને મુલ્લમમાં અથડામણ
મળતી માહિતી મુજબ, વહેલી સવારે તાંગખુલ નાગા (Tangkhul Naga) અને કુકી સમુદાયના સશસ્ત્ર જૂથો સામસામે આવી ગયા હતા. સીનાકેઈથેઈ ગામ પાસે થયેલા ભીષણ ગોળીબારમાં 29 વર્ષીય તાંગખુલ યુવક હોરશોકમી જમાંગ (Horshokmi Jamang) નું મોત થયું હતું. આ અથડામણમાં અન્ય 3 નાગરિકો ઘાયલ (Injured) થયા હોવાના અહેવાલ છે.
આ ઘટનાના થોડા જ સમય બાદ, કુકી બહુલ વિસ્તાર એવા મુલ્લમ (Mullam) ગામ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં થયેલા ગોળીબારમાં લેતલાલ સિતલ્હો અને પાઓમિનલુન હાઓલાઓ નામના બે કુકી યુવકોના મોત થયા છે. સ્થાનિક સંગઠનોનો દાવો છે કે હિંસા દરમિયાન મુલ્લમ અને સોંગફાલ (Songphal) ગામોમાં અનેક ઘરોને આગ ચાંપવામાં (Arson) આવી છે.
આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સુરક્ષા સ્થિતિ
નાગા સંગઠન ‘તાંગખુલ નાગા લોંગ’ (TNL) એ એવો આરોપ લગાવ્યો છે કે કુકી ઉગ્રવાદીઓએ નાગા વિલેજ ગાર્ડ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. બીજી તરફ, કુકી સંગઠનોએ દાવો કર્યો છે કે તાંગખુલ ઉગ્રવાદીઓએ સવારે 5:30 વાગ્યે તેમના ગામો પર હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી 2026 (February 2026) થી આ વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અવિશ્વાસ અને તણાવ સતત વધી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા વહીવટીતંત્રે વધારાના સુરક્ષા દળો (Security Forces) તૈનાત કર્યા છે. પોલીસ (Police) અને અર્ધલશ્કરી દળો પરિસ્થિતિને કાબૂમાં લેવા પેટ્રોલિંગ (Patrolling) કરી રહ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
