Oracle Layoff
Oracle Layoff News: અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ઓરેકલ (Oracle) એ ભારત સહિત વિશ્વભરમાં આશરે 30,000 જેટલા કર્મચારીઓની એકસાથે છટણી (Layoff) કરી નાખી છે. આ આંકડામાં સૌથી મોટો હિસ્સો ભારતનો છે, જ્યાં 12,000 કર્મચારીઓને રાતોરાત બેરોજગાર કરી દેવાયા છે. ચોંકાવનારી વાત એ છે કે, કર્મચારીઓને વહેલી સવારે 6:00 વાગ્યે માત્ર એક ઈમેલ (Email) મોકલીને પદ પરથી હટાવી દેવાની જાણ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર કર્મચારીઓનો રોષ
કંપનીના આ આકરા નિર્ણય બાદ સોશિયલ મીડિયા (Social Media) પર કર્મચારીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. રેડિટ (Reddit) પર એક યુઝરે લખ્યું કે, “મારા પિતા છેલ્લા 20 વર્ષથી ઓરેકલમાં કાર્યરત હતા અને તેઓ કેન્સર (Cancer) થી પીડિત છે. કંપનીએ એક ફોન કરવાની પણ તસ્દી ન લીધી અને માત્ર ઈમેલ દ્વારા તેમને છૂટા કરી દીધા.” અન્ય એક પૂર્વ કર્મચારી મેરુગુ શ્રીધરે જણાવ્યું કે ભારતમાં 16 કલાકની વર્ક શિફ્ટ (Work Shift) ના દબાણને કારણે ઘણાએ અગાઉ રાજીનામા આપ્યા હતા.
શા માટે લેવાયો આ નિર્ણય?
ઓરેકલના કમ્પ્યુટિંગ બિઝનેસ (Computing Business) ને ભારત અને મેક્સિકો (Mexico) જેવા દેશોમાં મોટો ફટકો પડ્યો છે. કંપની દ્વારા મોકલેલા ઈમેલમાં જણાવાયું છે કે, “કંપનીમાં મોટા માળખાકીય ફેરફાર (Restructuring) થઈ રહ્યા છે, જેના કારણે તમારા વર્તમાન પદની હવે જરૂર નથી.”
ભારતમાં ઓરેકલના કુલ 30,000 કર્મચારીઓ છે, જેમાંથી અત્યારે 12,000 ને કાઢી મૂકાયા છે. અહેવાલો મુજબ, આગામી એક મહિનામાં કંપની હજુ વધુ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે બાકીના સ્ટાફમાં પણ ભયનો માહોલ છે.
