શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી અને ફાઉન્ડેશનના દ્રષ્ટિકોણ તથા ચાલી રહેલી વિવિધ પહેલો વિશે જાણવા માટે તેના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

મંત્રીશ્રીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને તેમને વિશ્વ ઉમિયાધામ પ્રોજેક્ટ થકી આધ્યાત્મિક ચેતના, સામાજિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપવાના ફાઉન્ડેશનના મિશન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૌશલ્ય વિકાસ તેમજ યુવા અને મહિલા સશક્તિકરણને આવરી લેતા સંસ્થાના સર્વગ્રાહી દ્રષ્ટિકોણની પણ સમીક્ષા કરી હતી.
શ્રી વૈષ્ણવને ફાઉન્ડેશનની આગામી પહેલ, VIBOS (વિશ્વ ઉમિયા ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક) વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય સામાજિક વિકાસમાં યોગદાન આપવાની સાથોસાથ ઉદ્યોગસાહસિકતા, વ્યાપારી સહયોગ અને રોજગારી નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.
મહત્વ: આ મુલાકાતે સર્વસમાવેશક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના સહિયારા દ્રષ્ટિકોણને મજબૂત કરવાની સાથે સાથે સામાજિક સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને આગળ વધારવામાં સમુદાય-સંચાલિત સંસ્થાઓના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું.
