ગુજરાત બજેટ (Gujarat Budget 2026-27): નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડ ની માતબર જોગવાઈ કરી છે. ‘વાવણીથી વેચાણ સુધી’ ખેડૂતોની પડખે રહેવાના નિર્ધાર સાથે સરકારે સિંચાઈ, પશુપાલન અને માછીમારી ક્ષેત્ર માટે અનેક મહત્વના એલાન કર્યા છે.
સિંચાઈ અને જળ વ્યવસ્થાપન
રાજ્યના સૂકા વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચાડવા અને સિંચાઈ સુવિધાના વિસ્તાર માટે મોટી ફાળવણી કરવામાં આવી છે:
સુજલામ સુફલામ યોજના: ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ₹1237 કરોડ ની જોગવાઈ.
સૌની યોજના (SAUNI Yojana): સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે ₹473 કરોડ ફાળવાયા.
નળકાંઠા વિસ્તાર: અમદાવાદના નળકાંઠાના ગામો માટે પાઇપલાઇન અને કેનાલના બીજા તબક્કા માટે ₹958 કરોડ ની જોગવાઈ.
કચ્છની યોજના: કચ્છના સિંચાઈ પ્રશ્નો માટે ₹1333 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પશુપાલન અને ગૌસેવા
પશુપાલકોની આવક વધારવા અને ગૌવંશના સંરક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ છે:
ગૌ માતા પોષણ યોજના: ગૌશાળાઓ અને ગૌવંશના નિભાવ માટે ₹500 કરોડ ની જોગવાઈ.
દૂધ ઉત્પાદન: દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10% થી વધુ લઈ જવાનું લક્ષ્ય.
બાયો-CNG પ્લાન્ટ: રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી (Bio-CNG) પ્લાન્ટ સ્થપાશે, જેનાથી પશુપાલકોને પૂરક આવક મળશે.
મત્સ્યઉદ્યોગ અને સાગરખેડૂઓ
સાગરખેડૂઓના કલ્યાણ અને બ્લૂ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે માળખાકીય સુવિધા અને કોલ્ડ સ્ટોરેજ (Storage) માટે ₹1340 કરોડ ની જોગવાઈ. માછલીઓના ઉત્પાદન અને નિકાસ (Export) વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ખેડૂતોને આર્થિક ટેકો
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC): ખેડૂતો અને પશુપાલકોને સમયસર લોન અને વ્યાજ સહાય મળી રહે તે માટે ₹1539 કરોડ ની જોગવાઈ.
કુદરતી આફતમાં સહાય: પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે આશરે ₹1100 કરોડ નું કૃષિ રાહત પેકેજ 33 લાખથી વધુ ખેડૂતોને મદદરૂપ થશે.
પર ડ્રોપ મોર ક્રોપ: સૂક્ષ્મ સિંચાઈ (Micro Irrigation) હેઠળ અત્યાર સુધી 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે, જેનો વ્યાપ વધુ વધારવામાં આવશે.
