Sahil Dhaneshra Accident | દિલ્હીના દ્વારકા (Dwarka) વિસ્તારમાં 3 ફેબ્રુઆરીના રોજ થયેલા ભયાનક કાર અકસ્માતમાં જીવ ગુમાવનાર સાહિલ ધનેશરાની (Sahil Dhaneshra) માતાએ હવે આરોપી પરિવાર સામે મોરચો માંડ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આરોપી હજુ સુધી બહાર કેમ છે? તેમણે માંગ કરી છે કે આરોપી સગીરના પિતાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
દિલ્હીના દ્વારકા માર્ગ પર સ્કોર્પિયો (Scorpio) ચાલકની બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં સાહિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપી પક્ષના વકીલનું કહેવું છે કે સગીર આરોપી તેની બોર્ડની પરીક્ષા (Board Exam) પૂરી થયા બાદ 7 માર્ચના રોજ સરેન્ડર (Surrender) કરશે. આ દરમિયાન આરોપીના પિતાએ પણ પોતાની ભૂલ સ્વીકારી કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપવાની વાત કરી હતી, જેને સાહિલની માતાએ ‘ઈમોશનલ ડ્રામા’ ગણાવ્યો છે.
માતાનો સીધો આક્ષેપ (Mother’s Allegation)
સાહિલની માતાએ આક્રોશ સાથે જણાવ્યું કે:
ગુનાહિત પરિવાર: “આરોપીના પિતાની ધરપકડ થવી જોઈએ, આખું કુટુંબ ગુનેગાર છે. તેઓ સહાનુભૂતિ મેળવવા માટે નાટક કરી રહ્યા છે.”
ઉછેર પર સવાલ: તેમણે સવાલ કર્યો કે એવા કેવા માતા-પિતા છે જેમને ખબર જ નથી હોતી કે તેમનું બાળક ક્યારે ગાડી લઈને નીકળી જાય છે? જો જવાબદારી ન ઉપાડી શકતા હો તો બાળકોને જન્મ કેમ આપો છો?
વિલંબ પર સશંકા: 15 દિવસથી આરોપીઓ બહાર હોવા સામે તેમણે શંકા વ્યક્ત કરી કે શું તેઓ કોઈ સેટિંગ કે જુગાડ કરવા માટે સમય માંગી રહ્યા છે?
ઓવરટેક કરવાના દાવા પર જવાબ
કેટલાક લોકો દ્વારા સાહિલ પર ઓવરટેક (Overtake) કરવાનો આક્ષેપ કરાયો હતો, જેનો જવાબ આપતા માતાએ કહ્યું કે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સાહિલ બસની પાછળ હતો. ટ્રાફિકના નિયમ મુજબ તેણે જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે જ સ્કોર્પિયોએ બસની સામેથી કટ માર્યો અને અકસ્માત સર્જાયો.
સાહિલની માતાએ ભાવુક થઈને કહ્યું કે, “હું મારા દીકરાને જે હાલતમાં જોઈને આવી છું તે ક્યારેય ભૂલી શકતી નથી. જ્યાં સુધી ન્યાય (Justice) નહીં મળે ત્યાં સુધી હું શાંત નહીં બેસું.”
