બોલિવૂડના (Bollywood) જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav) લાંબા સમય બાદ તિહાર જેલમાંથી (Tihar Jail) બહાર આવ્યા છે. વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં (Check Bounce Case) ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન (Interim Bail) આપ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી હતી અને ભાવુક થઈને ચાહકોનો આભાર માન્યો હતો.
’30 વર્ષની સફર અને લોકોનો સાથ’
જેલની બહાર નીકળતા જ રાજપાલ યાદવે કહ્યું કે, “મારે બોલિવૂડમાં કામ કર્યાને 30 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આજે હું ૨૦૦ થી ૨૫૦ ફિલ્મોમાં કામ કરી શક્યો છું કારણ કે દેશ-દુનિયાના લોકો અને ભારતીય સિનેમા (Indian Cinema) મારી સાથે છે. કાયદાકીય પ્રક્રિયા અંગે મારા વકીલ (Lawyer) વધુ માહિતી આપશે, પણ હાઈકોર્ટના દરેક આદેશનું મેં પાલન કર્યું છે. જો મારી પર કોઈ આરોપ છે, તો હું તેની તપાસ માટે હંમેશા ઉપલબ્ધ છું.”
શા માટે જવું પડ્યું જેલ?
રાજપાલ યાદવ ૧૩ દિવસ જેલમાં રહ્યા હતા. તેમણે ૫ ફેબ્રુઆરીના રોજ આત્મસમર્પણ (Surrender) કર્યું હતું. ૧૯ ફેબ્રુઆરીએ તેમની ભત્રીજીના લગ્ન હોવાથી તેમણે જામીન અરજી કરી હતી. કોર્ટમાં ૨.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને રાહત મળી છે.આ સમગ્ર વિવાદ ૨૦૧૨ની ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલો છે. રાજપાલે આ ફિલ્મ બનાવવા માટે ‘મુરલી પ્રોજેક્ટ્સ’ પાસેથી ૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ફિલ્મ ફ્લોપ જતાં દેવું વધીને ૯ કરોડ રૂપિયા (વ્યાજ સાથે) થઈ ગયું હતું, જેને કારણે આ કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ છે.
બોલિવૂડના માંધાતાઓ મદદે આવ્યા
રાજપાલ યાદવની મુશ્કેલીના સમયે સલમાન ખાન (Salman Khan), અજય દેવગન, વરુણ ધવન અને સોનુ સૂદ જેવા દિગ્ગજોએ મદદનો હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ પણ ઉદ્યોગના લોકોને રાજપાલને આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી. રાજપાલની પત્નીએ તમામ સેલિબ્રિટીઓનો (Celebrities) આભાર માન્યો હતો.
