Kerala Temple Entry Issue | કેરળ હાઈકોર્ટે તાજેતરમાં એક ઐતિહાસિક ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કાયદા અને નિયમોનો હેતુ સમાજમાં એકતા અને ભાઈચારો (Brotherhood) વધારવાનો હોવો જોઈએ, વિવાદ પેદા કરવાનો નહીં. કોર્ટે આ ટિપ્પણી એ અરજીને ફગાવી દેતા કરી હતી, જેમાં આદૂર શ્રી પાર્થસારથી મંદિરમાં બે ખ્રિસ્તી પાદરીઓના પ્રવેશ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પાદરીઓને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના કાર્યક્રમમાં અતિથિ (Guest) તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ચુકાદા દરમિયાન કોર્ટે તૈત્તિરીય ઉપનિષદના ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ’ (Atithi Devo Bhava) મંત્રનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે સમજાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં અતિથિને ભગવાન સમાન માનવામાં આવે છે. આ કિસ્સામાં પાદરીઓ કોઈ અધિકારના દાવા સાથે નહીં, પરંતુ આમંત્રિત મહેમાન તરીકે મંદિરમાં ગયા હતા, જે કોઈપણ રીતે ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન નથી.
અદાલતે સરકારને ‘કેરળ હિન્દુ પબ્લિક પ્લેસ ઓફ પબ્લિક વર્શિપ એક્ટ’ ના નિયમ 3(A) ની સમીક્ષા કરવા માટે પણ સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું કે જો કોઈ નિયમ બંધારણીય સિદ્ધાંતો (Constitutional Principles) સાથે ટકરાતો હોય, તો તેને સુધારવો જોઈએ. આ ચુકાદો ધાર્મિક સહિષ્ણુતા અને સામાજિક સહ-અસ્તિત્વ (Co-existence) ની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
