સરલા ભટના અપહરણ અને હત્યાનો કેસ કાશ્મીરમાં બળવાખોરી સાથે જોડાયેલા આતંકવાદી ગુનાઓમાં ન્યાયની લાંબી અને મુશ્કેલ શોધનું પ્રતીક બની ગયો છે.
જમ્મુ-કાશ્મીર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) દ્વારા વર્ષ 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ અને હત્યાના કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતા, લગભગ 35 વર્ષ બાદ ખીણના સૌથી ભયાનક આતંકવાદી કેસોમાંના એકને ફરી ચર્ચામાં લાવી દીધો છે.
737 પાનાંની આ ચાર્જશીટમાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ભૂતપૂર્વ કમાન્ડર યાસીન મલિક સહિત પાંચ આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં આ પ્રથમ મોટી કાનૂની સફળતા માનવામાં આવે છે, જે આતંકવાદના પ્રારંભિક વર્ષોમાં કાશ્મીરી પંડિતો સામે થયેલી નિશાન બનાવીને કરવામાં આવેલી હિંસાનું પ્રતીક બની ગયો હતો.
1990 na અહેવાલો અને વિડિયોનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ફૂટેજને પુરાવાના ભાગરૂપે સ્વીકારવામાં આવ્યું છે, જેના આધારે યુવા નર્સનું અપહરણ અને હત્યા કરવામાં આવી હોવાનું સ્થાપિત કરવામાં મદદ મળી.
સરલા ભટ અનંતનાગ જિલ્લાના કાશ્મીરી પંડિત પરિવારમાંથી હતાં. તેઓ શ્રીનગર સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (SKIMS)માં નર્સ તરીકે ફરજ બજાવતા હતાં, જે ખીણની અગ્રણી તબીબી સંસ્થાઓમાંની એક છે.
તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, 1990માં કાશ્મીરમાં વધતા ભય અને ધમકીઓના માહોલ છતાં તેઓ નિયમિત રીતે ફરજ પર હાજર રહેતાં હતાં. 18 એપ્રિલ, 1990ના રોજ SKIMS કેમ્પસ નજીકથી JKLFના આતંકવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું. બીજા દિવસે શ્રીનગરના ઓમર કોલોની વિસ્તારમાં, હોસ્પિટલથી કેટલાક કિલોમીટર દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
કાશ્મીરી પંડિતોના ખીણમાંથી થઈ રહેલા સ્થળાંતર દરમિયાન બનેલી આ ઘટના તેની ક્રૂરતા અને સમયને કારણે સમગ્ર કાશ્મીરને હચમચાવી ગઈ હતી.
તપાસ મુજબ, સરલા ભટને બંધક બનાવીને યાતનાઓ આપવામાં આવી હતી અને બાદમાં ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. ચાર્જશીટમાં સમાવાયેલા તબીબી પુરાવાઓ અનુસાર તેમના શરીર પર ગોળી વાગ્યાના અનેક નિશાન અને શારીરિક યાતનાના પુરાવા મળી આવ્યા હતાં.
તપાસકર્તાઓનું એમ પણ કહેવું છે કે તેમના મૃતદેહ પાસે એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેમની હત્યાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી અને તેમને સુરક્ષા દળોના “મુખબીર” (બાતમીદાર) ગણાવવામાં આવ્યા હતાં. આ ચિઠ્ઠી તે સમયગાળા દરમિયાન આતંકવાદીઓ દ્વારા જાહેરમાં જવાબદારી સ્વીકારવાના પ્રારંભિક ઉદાહરણોમાંની એક બની હતી.
વર્ષો દરમિયાન એવા આક્ષેપો પણ સામે આવ્યા હતા કે તેમની હત્યા પહેલાં તેમની સાથે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જોકે, તે સમયે નોંધાયેલા ગુનામાં અપહરણ, હત્યા અને ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (TADA)ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સરલા ભટના મૃત્યુ સાથે આ દુર્ઘટનાનો અંત આવ્યો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાદમાં આતંકવાદીઓએ શ્રીનગર સ્થિત તેમના પરિવારના નિવાસસ્થાન પર ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેના કારણે તેમનો પરિવાર હજારો અન્ય કાશ્મીરી પંડિતોની જેમ ખીણ છોડવા માટે મજબૂર બન્યો હતો.
દાયકાઓ સુધી પરિવાર તપાસમાં કોઈ અર્થપૂર્ણ પ્રગતિની રાહ જોતો રહ્યો, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ચરમકાળ દરમિયાન હિંસા અને અસ્થિરતાને કારણે આ કેસ લાંબા સમય સુધી વણઉકેલાયેલો રહ્યો.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠનોના ભય અને ધાકને કારણે વર્ષો સુધી સાક્ષીઓ આગળ આવવા તૈયાર નહોતા. માર્ચ 2024માં કેસ SIAને સોંપાયા બાદ તપાસ ફરી શરૂ કરવામાં આવી, જૂના રેકોર્ડની ફરી તપાસ કરવામાં આવી અને નવા મૌખિક, ફોરેન્સિક, બેલિસ્ટિક, તબીબી તથા ઇલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા.
એજન્સીનું કહેવું છે કે સુરક્ષિત સાક્ષીઓના નિવેદનો, સ્વતંત્ર પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો, દસ્તાવેજી પુરાવા અને વર્ષો દરમિયાન એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
SIAએ આ કેસમાં યાસીન મલિક, ખુર્શીદ અહમદ ચાલકૂ, અબ્દુલ હમીદ શેખ, મોહમ્મદ યુસુફ સોફી ઉર્ફે ઇદ્રીસ અને ગુલામ મોહમ્મદ ટપલૂને આરોપી તરીકે દર્શાવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચમાંથી ત્રણ આરોપીઓનું અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે ચાલકૂ ફરાર છે અને તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભાગી ગયો હોવાની માન્યતા છે. યાસીન મલિક હાલમાં દિલ્હીની તિહાર જેલમાં આતંકવાદી ભંડોળ (ટેરર ફંડિંગ)ના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ચાર્જશીટમાં સુરક્ષિત સાક્ષીઓના નિવેદનો, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો, બેલિસ્ટિક અને તબીબી પુરાવા, ઘટનાસ્થળેથી મળેલી JKLFની જવાબદારી સ્વીકારતી ચિઠ્ઠી તેમજ ફારૂક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેના પ્રમાણિત ટેલિવિઝન ઇન્ટરવ્યૂનો આધાર લેવામાં આવ્યો છે, જેને તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર અભિયોજન પક્ષના કેસને મજબૂતી મળે છે.
ફોજદારી કાર્યવાહીથી આગળ વધીને સરલા ભટનો કેસ કાશ્મીરમાં બળવાખોરી સાથે જોડાયેલા ઐતિહાસિક આતંકવાદી ગુનાઓમાં ન્યાયની લાંબી અને મુશ્કેલ શોધનું એક પ્રતીક બની ગયો છે.
Indian Student Suicide in US | અમેરિકાના (US) ટેક્સાસમાં (Texas) અભ્યાસ કરતા હૈદરાબાદના (Hyderabad) 24…
Pilot Dope Test | નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) અને ડીજીસીએ (DGCA) દ્વારા હવાઈ…
Hijab Uniform Verdict | અલાહાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેંચે પ્રયાગરાજ (Prayagraj)ની ટેગોર પબ્લિક સ્કૂલ (Tagore Public…
Gurdeep Singh NYC Shooting | અમેરિકાના (America) ન્યૂયોર્ક (New York) શહેરમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા…
Onion Price Hike | દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સહિત દેશના વિવિધ ભાગોમાં મોંઘવારીનો વધુ એક મોટો ફટકો…
Maharashtra Hill Tragedy | મહારાષ્ટ્રના (Maharashtra) છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) જિલ્લાના તીસગાંવ (Tisgaon) વિસ્તારમાં આવેલી ખાવડા હિલ…