Gujarat Development

ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે નિર્માણ પામશે ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન IITEનું નૂતન ભવન

IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
———
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી સ્થપાયેલી સ્ટેટ યુનિવર્સિટી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનનું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં નિર્માણ પામશે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.127 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા આ નૂતન ભવનનું ભૂમિપૂજન શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા રાજ્ય મંત્રીશ્રીઓ સર્વ શ્રી ત્રિકમભાઈ છાંગા, અને રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કર્યુ હતું.

આ નવા ભવનમાં એકેડેમિક બિલ્ડિંગ, આધુનિક સાયન્સ લેબ તથા સેમીનાર રૂમ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને મ્યુઝીયમ જેવી સુવિધાઓ ઉપરાંત વિવિધ રમતો માટે પ્લે ગ્રાઉન્ડ, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવી હોસ્ટેલનું બાંધકામ હાથ ધરાશે.

આ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાનની સ્થાપના સમાજને ઉત્તમ શિક્ષકો મળે તે હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી કરવામાં આવેલી છે.

 

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે માત્ર ભવન કે મકાન નિર્માણની શરૂઆત નથી થઈ, પરંતુ ભારતના ભવિષ્યના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનારા ઉત્તમ શિક્ષકોના નિર્માણના એક નવા યુગની શરૂઆત થઈ છે. ભારત માત્ર સામાન્ય શિક્ષકો જ નહીં, પણ ‘રાષ્ટ્ર નિર્માતા’ શિક્ષકો તૈયાર કરીને વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવે અને વિદેશોમાં પણ શ્રેષ્ઠ શિક્ષકો પૂરા પાડે, તેવા ભગીરથ દ્રષ્ટિકોણને આ સંસ્થા આજે નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે.

શિક્ષણ મંત્રી શ્રી વાજાએ જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાના શિક્ષકો તૈયાર કરવા માટે વૈશ્વિક સ્તરની સંસ્થા સ્થાપવાના ઉદ્દેશ સાથે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિચારથી વર્ષ-૨૦૧૦માં આ વિશિષ્ટ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૨૭ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત કેમ્પસમાં નવા એકેડેમિક અને ફેકલ્ટી બિલ્ડિંગ, અદ્યતન વર્ગખંડો, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાઇબ્રેરી, મ્યુઝિયમ તેમજ રમત-ગમતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, અંદાજે ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -NEP-2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ નવી શિક્ષણ નીતિ બહુ-વિષયક શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમ પર વિશેષ ભાર મૂકે છે. આ જ દિશામાં આગળ વધતા, IITE ને હવે એક ‘મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જ્ઞાન શાખાઓના સંકલન સાથે સર્વગ્રાહી શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપતી સાત નવી ‘યુનિવર્સિટી સ્કૂલ્સ’ ની રચના કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી માધ્યમ છે અને શિક્ષક વર્ગખંડમાંથી જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આજે જે ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે માત્ર સિમેન્ટ-કોંક્રિટનું માળખું નથી, પરંતુ ‘વિકસિત ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ ના ઉજ્જવળ ભવિષ્યની એક મજબૂત આધારશિલા છે.

 

આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક વિચાર સાથે સ્થપાયેલી આ યુનિવર્સિટી માત્ર અક્ષરજ્ઞાન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે નવું ચિંતન અને સંશોધન લાવી આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવે છે. નવી શિક્ષણ નીતિ – NEP ૨૦૨૦ના વ્યાપક અમલીકરણ વચ્ચે, આ યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશભરમાં શિક્ષણના આચાર, વિચાર અને વ્યવહારમાં આમૂલ પરિવર્તન લાવી એક અગત્યનું સ્થાન પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

આ વિશેષ પ્રસંગે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શ્રી બી.એન. હાઈસ્કૂલમાં જે આદરણીય શિક્ષકો અને ગુરુજનો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું, તે ગુરુજનોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાવપૂર્વક અભિવાદન-સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે ITEP અભ્યાસક્રમનું ડિજિટલ વિમોચન કરવામાં આવ્યું હતું.

 

આ સમારોહમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી રાજેશ શુક્લ, સહિત IITEના પ્રોફેસર, એકેડમિક હેડ, ડાયરેક્ટર અને આચાર્ય, વિદ્યાર્થીઓ ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
———-

Chief Editor

Recent Posts

ડલાસઃ એકલ મિશનની અદ્દભૂત સેવા

એકલ ડલ્લાસ દ્વારા ભારતના આશરે 342 ગામડોઓમાં પ્રભાવ પાળવા માટે $222,000 એકત્ર કરાયા લેન્ડમાર્ક DFW…

5 hours ago

ગ્રેટર નોઈડામાં 6 વર્ષની બાળકીની હત્યા, બોરીમાં લાશ લઈ જતા દેખાયો આરોપી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગ્રેટર નોઈડા (Greater Noida) વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના…

2 days ago

કેનેડામાં વર્ક પરમિટ માટે નવા 90-દિવસના LMIA પ્રોસેસિંગ ગ્રેસ પિરિયડમાં મોટો ફેરફાર

કેનેડાના (Canada) ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ (Temporary Foreign Worker Program - TFWP) માં એક મોટો…

2 days ago

વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત, ઘરઆંગણે માંગ અને ઉત્પાદનમાં તેજીનો દાવો

વૈશ્વિક સ્તરે આર્થિક અને જીઓપોલિટિકલ (Geopolitical) અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર (Indian Economy) સતત મજબૂતી…

5 days ago

કિસાન વિકાસ પત્રમાં પૈસા થશે ડબલ! જાણો વ્યાજ દર અને રોકાણના નિયમો

Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન…

5 days ago