BAPSના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ ‘ યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કરતાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ યુવાનોના વિરલ ઘડવૈયા હતા. બાળકો અને યુવકો હંમેશા પ્રેમ અને લાગણીને ઝંખે છે માટે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા યુવકોને પ્રેમ આપ્યો છે અને તેમની ભૂલોને અવગણીને અને માફ કરીને પણ પ્રેમ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પૂજા કર્યા વગર પાણી પણ ના પીવે તેવા નિયમધર્મની દૃઢતા વાળા યુવકોનું નિર્માણ કર્યું છે.પ્રમુખસ્વામી મહારાજે અજોડ સેવા કરે તેવા અને સમર્પિત યુવકોનું નિર્માણ કર્યું છે.”
યુવાપ્રવૃત્તિમાં જોડાયેલાં યુવક-યુવતીઓના સ્વાનુભવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વિડિયો પ્રસ્તુતિ રૂપે દર્શાવવામાં આવ્યા હતા.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભાગવત રસજ્ઞ પૂ. શ્રી જીગ્નેશદાદાજીએ જણાવ્યું,
“ મારા માતાપિતા સમાન ગુરુ મહારાજ એવા પ્રમુખસ્વામી મહારાજને મારા પ્રણામ.પરમાત્માની શું શક્તિ છે અને પરમાત્મા શું કરી શકે છે તેને જોવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. પ્રમુખસ્વામી મહારાજના મેં ક્યારેય દર્શન નથી કર્યા, પરંતુ આજે સંતો અને હરિભક્તોને જોઈને મને તેમની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે. માણસની હાજરીમાં તેના વખાણ થાય તે તો સામાન્ય કહેવાય પરંતુ માણસની ગેરહાજરીમાં તેના કરોડો લોકો વખાણ કરે તેવા પ્રમુખસ્વામી મહારાજ હતા અને મારા માટે તેઓ સાચા અર્થમાં “યુગપુરુષ” છે. સાધુનો ગુણ છે “અજાત શત્રુતા”. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં અજાતશત્રુ હતા.સ્વચ્છતા અને સુંદર આયોજન જે મહોત્સવમાં જોવા મળતું હોય તે મહોત્સવ બી.એ.પી.એસ સંસ્થાનો જ હોઇ શકે. આ ઉત્સવમાંથી કોઈ એક વિચાર પણ જીવનમાં ઉતારીશું તો સમગ્ર જીવન મહામહોત્સવ બની જશે એવું આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવ છે.”
ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ અને લોકસભાના સાંસદ શ્રી તેજસ્વી સૂર્યાએ જણાવ્યું,
“આપણે સૌ પ્રમુખસ્વામી મહારાજના અવતાર અને કાર્યોનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ કારણકે તેઓએ એક જન્મમાં એટલું કાર્ય કર્યું છે જેટલું અનેક જન્મોમાં ના થઈ શકે માટે આજે અનેક યુવાનોને તેમને દર્શાવેલા પથ પર ચાલવાની પ્રેરણા મળે છે.
પ્રમુખ સ્વામી મહારાજ “ત્યાગની મૂર્તિ” હતા માટે આજે આખું ભારત વર્ષ તેમનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે.આજે પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને અદ્ભુત ચમત્કારની અનુભૂતિ થઈ છે જેની પાછળ પ્રમુખસ્વામી મહારાજ અને સંતો હરિભક્તો નો અથાગ પુરુષાર્થ રહેલો છે.
આ પ્રમુખ સ્વામી મહારાજ નગર માં સ્વચ્છતા , હરિયાળી અને પવિત્રતા જોવા મળે છે.હું આજે અહી અતિથિ તરીકે નહિ પરંતુ સત્સંગી થઈને આવ્યો છું અને મારી સાથે સમગ્ર ભારતના યુવા મોરચાના પ્રમુખ આવ્યા છે કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી ઘણું શીખવાનું છે જે ઉજ્જવળ ભારતના નિર્માણમાં ઉપયોગી બનશે. પ્રમુખસ્વામી મહારાજ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની દિવ્ય ચેતનાના દર્શન હું અહીંના સંતો હરિભક્તો માં જોઈ રહ્યો છું. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં “નવા ભારતનું” દર્શન થાય છે.
દક્ષિણ ભારતમાં અનેક વિશાળ મંદિરો આવેલા છે જે આપણા પૂર્વજોની આવડત અને કલાનું પ્રતિક છે પરંતુ અક્ષરધામ મંદિર અને બીએપીએસ સંસ્થાએ આ કલાને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે જ્યાં ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં તમામ યુવાનો એ આવું જોઈએ જેથી તેઓ દેશ ભક્તિ અને દેવ ભક્તિ શીખી શકે.
પ્રમુખસ્વામી મહારાજ આજના યુગમાં સાચા અર્થમાં “યુવાનોના આદર્શ” છે કારણકે તેઓએ યુવાનોને સાચું અને સારું જીવન જીવવાની પ્રેરણા આપી છે.આવનારા ૨૫ વર્ષ એ ભારત માટે અમૃતકાળ સમાન છે અને તે માટે ઉચ્ચ આદર્શ ધરાવતા નાગરિકોની જરૂર છે અને તેવા આદર્શો અને મૂલ્યો પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યા છે.”
ટોરેન્ટ પાવરના મેનેજીંગ ડાયરેકટર શ્રી જીનલભાઈ મહેતાએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ દિવ્ય અને આધ્યાત્મિક પુરુષ હતા અને તેમને માનવતાની સાથે આધ્યાત્મિકતા શીખવી છે. પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કરીને અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા છે અને વ્યસનમુક્તિ માટે પ્રેરણા આપી છે.પ્રમુખસ્વામી મહારાજ ની મહા મૂર્તિ જોઈને તેઓ સદાય આપણી સાથે છે તેવી અનુભૂતિ થાય છે.પ્રમુખજયોતી ઉદ્યાન જોઈને હું ખૂબ જ અભિભૂત થયો છું.”
BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યું,
“ગુજરાત ની ભૂમિને નમન કરું છું અને તેનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવું જોઈએ કારણકે આ ભૂમિમાંથી “પ્રમુખસેવક” પણ છે અને “પ્રધાનસેવક” બંને મળ્યા છે. સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજની અને તેમણે બનાવેલા મંદિરોની દિવ્યતાને નમન કરું છું. પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ જોઈને “અધરમ મધુરમ” શ્લોક ની યાદ આવે છે.
દ્વિતીય નમન હું પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતાથી ઉત્પન્ન થયેલી સેવા સમર્પણની ભાવનાને કરું છું અને અહીંના સ્વયંસેવકોની સેવાને પ્રણામ કરું છું કારણકે તેઓ પ્રમુખસ્વામીના રાજીપા માટે જ સેવા કરી રહ્યા છે.
મારું તૃતીય નમન પ્રમુખસ્વામી મહારાજના ગુરુ પ્રત્યેના પ્રેમને કરું છું અને તેઓજ પ્રેમ આજે હું મહંત સ્વામી મહારાજમાં જોઈ રહ્યો છું કારણકે તેઓએ “ન ભૂતો ન ભવિષ્યતિ” તેવા શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજે આદર્શ યુવા સમાજનું નિર્માણ કર્યું છે જેઓ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં અનોખું યોગદાન આપશે.”
ગુજરાત હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ શ્રી દેવાંગ નાણાવટીએ જણાવ્યું,
“આજે હું મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપવા આવ્યો છું. પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત બોચાસણ મુકામે થઈ હતી અને મને સાક્ષાત્ ભગવાનની સામે બેઠો હોઉં તેવી અનુભૂતિ થઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજે આપેલી માળા હું ૨૪ કલાક મારી બેગમાં જ રાખું છું. પ્રમુખસ્વામી મહારાજે ભગવાનમાં કેવી શ્રદ્ધા રાખવી જોઈએ તે શીખવ્યું છે અને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યું છે. અડધા ગ્લાસ પાણીને જોઈને લોકો તર્ક કરતા હોય છે કે આ ગ્લાસ આખો ભરેલો છે કે અડધો, પરંતુ પ્રમુખસ્વામી મહારાજની આંખો તે ગ્લાસને જોઈને તરસ્યા માણસને શોધતી હતી તેવા પરોપકારી પુરુષ હતા.”
વિદેશી અને સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી વી. મુરલીધરને જણાવ્યું,
“૧૯૯૫ માં પ્રમુખસ્વામી મહારાજ ના અમૃત મહોત્સવમાં હાજર રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને આજે ૨૫ વર્ષ પછી મને તેમના શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળનગરીને જોઈને હું ખૂબ જ અભિભૂત થયો છું અને આ બાળ નગરીમાં પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં કરેલા સંસ્કારોના સિંચનના દર્શન થાય છે.
પ્રમુખસ્વામી મહારાજે માત્ર ઉપદેશો નથી આપ્યા પરંતુ તે આદેશો મુજબ જીવતા શીખવ્યું છે.વિશ્વભરના બી.એ પી.એસના સ્વયં સેવકોએ યુક્રેન યુદ્ધ વખતે અનોખું સમાજ સેવાનું કાર્ય કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા આદર્શો અને મૂલ્યો એ સમગ્ર માનવજાત અને આવનારી અનેક પેઢીઓ માટે દીવાદાંડી સમાન છે. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં વિશ્વગુરુ છે એટલે જ યુએન પણ તેમનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે.”
ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજનો મારા પર રાજીપો હશે તો જ આજે હું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવી શક્યો છું.આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્યતા , દિવ્યતા અને આત્મીયતા ના દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના લીધે સનાતન ભારતીય સંસ્કૃતિ આજે પણ જીવિત છે.
પ્રમુખસ્વામી મહારાજ ની આધ્યાત્મિકતાનો પ્રભાવ દરિયાપાર થઈને છેક અબુધાબી સુધી પહોંચી ગયો છે મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.પ્રબંધનના પાઠ શીખવા હોય તો આ સંસ્થા અને પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવું જોઈએ કારણકે આ નગરમાં ભણેલા ગણેલા યુવાનો પણ નાનામાં નાની સેવા કરી રહ્યા છે.પ્રમુખસ્વામી મહારાજની આંખોમાં લાગણી અને કરુણાનો સાગર વહી રહ્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજે શરૂ કરેલા સત્સંગ કેન્દ્રો અને મંદિરો થી અનેક લોકો વ્યસનમુક્ત થયા છે. “
જળ શક્તિ મંત્રાલય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે જણાવ્યું,
“૧ મહિના માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રવેશદ્વારથી અંદર આવ્યા પછી આ નગર વધારે અદ્ભુત અને અકલ્પનીય છે તેવી અનુભૂતિ થાય છે.
ભારતીય સંસ્કૃતિ નિત્ય નૂતન અને સનાતન બનતી છે તેનું મૂળ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સમજાય છે.પ્રમુખસ્વામી મહારાજે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવાનું કાર્ય કર્યું છે.મહંત સ્વામી મહારાજના દર્શન કરીને તેઓની નિર્મળતા , નિસ્પૃહતા , અને દિવ્યતાને નમન કરું છું. જ્યાં પૂજાનો અધિકાર નહોતો અને મૂર્તિપૂજામાં પણ શ્રદ્ધા નથી તેવા દેશમાં પણ આજે હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તે ભારતીય સંસ્કૃતિની શક્તિનું દર્શન કરાવે છે.”
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને વિશ્વભરમાં ભગવા કપડાં પહેરેલાં સંતોને આદરપૂર્વક વંદન કરવામાં આવે છે.પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ થયું છે.મંદિર, શાસ્ત્ર અને સંતને સંસ્કૃતિના આધાર સ્તંભ કહેવામાં આવ્યા છે અને આ ત્રણેય તત્વો બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે. ૬૦૦ એકરમાં નિર્માણ પામેલા નગરની પાછળ ૮૦,૦૦૦ થી વધારે સ્વયં સેવકોનો પુરુષાર્થ રહેલો છે તે વિશ્વભર માટે ઉદાહરણ રૂપ છે કે સ્વયંસેવકોની શક્તિ શું છે અને પ્રમુખસ્વામી મહારાજ જ તેમના આદર્શ છે. બાળનગરી એ જ્ઞાનનગરી છે જેમાં મનોરંજનની સાથે રસપ્રદ જ્ઞાન આપવામાં આવે છે. અનેક કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ માં પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ અનેક રાહતકાર્યો આ સંસ્થાએ કર્યા છે તે માટે હું તેમનો અને આ સંસ્થાનો આભારી છું.
એક નાનો બાળક ઘરે આવવા માટે આમંત્રણ આપે તો પણ પ્રમુખસ્વામી મહારાજ તેમના ઘરે પધરામણી કરવા જતાં હતાં તેવા નિર્મળ સંત હતા અને અનેકલોકોના જીવન પરિવર્તન કર્યા છે.
હું ૮૦,૦૦૦ સ્વયંસેવકો એ આપેલા નિઃસ્વાર્થ યોગદાન અને સમર્પણને લાખ લાખ વંદન કરું છું કારણકે તેમના વગર આ આયોજન શક્ય નહોતું.પ્રમુખસ્વામી મહારાજે નાનામાં નાની વ્યક્તિઓના દુક દૂર કરવા માટે પુરુષાર્થ કર્યો છે અને તેઓ એ ને સેવાને નારાયણ સેવા માનીને સમાજસેવાના કાર્યો કર્યા છે.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોને વ્યસનમુક્ત કરીને,ધર્મની ભાવના જાગૃત કરીને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું,
“યોગીજી મહારાજ કહેતા કે,‘યુવકો મારું હૃદય છે’ અને યુવકો એટલે સેવક. યોગીજી મહારાજે કહેતા કે ‘અભ્યાસ કરવો એટલે કરવો જ અને ભગવાન ભજવા એટલે ભજવા જ’.”