અમદાવાદ સિવિલમાં માનવતાનો અવિરત પ્રવાહ: વધુ એક પેશીદાન સાથે સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 966 અંગો અને પેશીઓનું દાન નોંધાયું
**
અસારવાના ડો. વિનોદ પટેલે શોકમગ્ન બહેન-બનેવીને આપી હિંમત: ભાણાના અવસાન બાદ પેશીદાન કરાવી સમાજમાં ઉમદા દ્રષ્ટાંત બેસાડ્યું
**
સાચી માનવતા દુઃખમાં પણ જીવંત રહે છે. સ્વજનોનો આ નિર્ણય માત્ર એક દાન નથી, પરંતુ સમાજ માટે એક શક્તિશાળી સંદેશ છે – ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

*
જીવનની કેટલીક ક્ષણો એવી હોય છે જે આપણી સહનશક્તિની કસોટી કરે છે, પરંતુ એ જ ક્ષણોમાં લેવાયેલો એક ઉમદા નિર્ણય અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આકાર પામી, જ્યાં ગાંધીધામના એક પરિવારે પોતાના ૩૦ વર્ષીય પુત્ર રાહુલ મનુભાઈ પટેલને ગુમાવવા છતાં અન્યના જીવનમાં પ્રકાશ પાથરવાનું નક્કી કર્યું.
આ કરુણ બનાવની વિગતો મુજબ, ગત ૧૮ જાન્યુઆરીના રોજ એક અકસ્માતમાં રાહુલને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગાંધીધામમાં એક અઠવાડિયાની સઘન સારવાર બાદ પણ સ્થિતિમાં સુધારો ન આવતા, રાહુલના મામા ડો. વિનોદ પટેલ અને તેમના પુત્ર ડો. ઝીલ પટેલે પરિવારને અંગદાનના મહત્વ વિશે સમજાવ્યા. પુત્રના વિરહના આઘાતમાં હોવા છતાં, પરિવારે મક્કમ બની રાહુલના અંગદાનનો નિર્ણય લીધો અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીનો સંપર્ક સાધ્યો.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાહુલને ગંભીર હાલતમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલના તબીબોએ ચાર દિવસ સુધી તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ વિધિની વક્રતા એ હતી કે તબીબી માપદંડો મુજબ રાહુલને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરી શકાયો નહીં અને અંતે તેનું અવસાન થયું.
તકનીકી કારણોસર અંગદાન (કિડની, લિવર વગેરે) શક્ય ન બન્યું, પરંતુ પરિવારે હિંમત હારી નહીં. તેમણે અંતિમ ક્ષણોમાં રાહુલની બે આંખો અને ચામડીનું દાન કરવાનો નિર્ણય લીધો. આ દાન થકી કોઈ અંધ વ્યક્તિને દુનિયા જોવાની નવી નજર મળશે અને દાઝેલા દર્દીઓને ત્વચા પ્રત્યારોપણમાં જીવનદાન મળશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ આ પ્રેરણાદાયી પહેલને બિરદાવતા કહ્યું કે, આ નિર્ણય સમાજમાં અંગદાન અને પેશીદાન પ્રત્યે જાગૃતિ વધારવાનું કામ કરશે. નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૯૬૬ જેટલા અંગો અને પેશીઓનું દાન મેળવી અનેક જિંદગીઓ બચાવવામાં આવી છે. પટેલ પરિવારનું આ બલિદાન અને સમજદારી માનવતાના ઇતિહાસમાં એક અમર ઉદાહરણ બની રહેશે.
