Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અદાણી+ મિસાઇલ + મધ્યપ્રદેશ

Chief Editor July 6, 2026
6-7 ada1

‘અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’……અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે


શિવપુરી (મધ્ય પ્રદેશ):
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રવિવારે શિવપુરી જિલ્લામાં સ્થપાનારા એક સંરક્ષણ ઉત્પાદન (ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અદાણી ગ્રૂપની પેટાકંપની ‘અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’ દ્વારા આશરે રૂ. ૨,૫૦૦ કરોડના ખર્ચે આ યુનિટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લાન્ટમાં મિસાઇલ કોમ્પ્લેક્સ, કમ્પોઝિટ પ્રોપેલન્ટ કોમ્પ્લેક્સ અને ટીએનટી (TNT) કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે, આ યુનિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ઔદ્યોગિક વિકાસના વિઝનને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકો સહિત અનેક યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે, તેમજ વિસ્તારના લઘુ અને મધ્યમ ઉદ્યોગો (SMEs)ને સંરક્ષણ ઉત્પાદનની સપ્લાય ચેઈન સાથે જોડાવાની સુવર્ણ તક મળશે.

‘દેશના સંરક્ષણ ક્ષેત્રમાં મધ્ય પ્રદેશ હવે મોટી ભૂમિકા ભજવશે’ – સીએમ યાદવ
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું હતું કે, “૫ જુલાઈ મધ્ય પ્રદેશ માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે હવે આપણું રાજ્ય દેશના સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અહીં બનનારી મિસાઇલો દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેમનો ખાતમો કરશે. આ મિસાઇલો લાંબા અંતર સુધી પ્રહાર કરીને દુશ્મન દેશમાં તબાહી મચાવશે, જેનાથી ભારતનું સન્માન અને ગૌરવ વધશે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “ચંબલની ધરતી સદીઓથી પોતાની શક્તિનું પ્રદર્શન કરતી આવી છે. અહીંના બહાદુર યોદ્ધાઓ, સેનાના જવાનો, અધિકારીઓ અને નાગરિકો સરહદ પર દેશની રક્ષા માટે પોતાના જીવનું જોખમ ખેડે છે. આજે શિવપુરીથી સંરક્ષણ ક્ષેત્રનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે.” સીએમ યાદવે સ્પષ્ટ કર્યું કે આ પ્રોજેક્ટથી વિસ્તારમાં રોજગારીની નવી તકો મળશે અને અંદાજે ૫,૦૦૦ લોકોને રોજગાર પ્રાપ્ત થશે. તેમણે ગુના (Guna)માં તાજેતરમાં શરૂ થયેલી અદાણી ગ્રૂપની સિમેન્ટ ફેક્ટરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આનાથી સમગ્ર ગ્વાલિયર-ગુના ક્ષેત્રનો કાયાકલ્પ થઈ રહ્યો છે અને મધ્ય પ્રદેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

‘જ્યારે પણ યુદ્ધ થશે, શિવપુરીથી હથિયારો મોકલાશે’ – જ્યોતિરાદિત્ય સિંધિયા
ગુના લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. તેમણે કહ્યું, “ભગવાન શિવ સંકલ્પ, શક્તિ અને વિજયના દેવ છે. તેથી જ શિવપુરીમાં ભગવાન શિવની સાક્ષીએ આ શિલાન્યાસ થઈ રહ્યો છે. રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર સેવાનો એક નવો સૂર્યોદય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.”

સિંધિયાએ ગર્વભેર જણાવ્યું કે, “જ્યારે પણ દેશ કોઈ યુદ્ધનો સામનો કરશે, ત્યારે શિવપુરીથી હથિયારો અને દારૂગોળો મોકલવામાં આવશે. અહીંના યુવાનોની મહેનતથી બનેલા આ શસ્ત્રો દુશ્મનોના લીરેલીરા ઉડાવી દેશે.” વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે સંકટના સમયે સમગ્ર વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જુએ છે. તેમણે રોકાણકારોનો વિશ્વાસ જીતવા બદલ મુખ્યમંત્રી મોહન યાદવની પ્રશંસા પણ કરી હતી.

અદાણી ગ્રૂપ મધ્ય પ્રદેશમાં રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે

 


આ શિલાન્યાસ સમારોહમાં અદાણી ગ્રૂપના કરણ અદાણી અને જીત અદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જીત અદાણીએ આ દિવસને વિશેષ ગણાવતા કહ્યું કે અહીં સેના માટે ‘મિશન-રેડી’ (તૈયાર) મિસાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે. મધ્ય પ્રદેશ સૌથી ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું હોવાનું જણાવી તેમણે કહ્યું, “અદાણી ગ્રૂપ રાજ્યના અનેક જિલ્લાઓમાં રોકાણ કરી રહ્યું છે. આ રોકાણ માત્ર કોઈ પ્રોજેક્ટમાં નથી, પરંતુ મધ્ય પ્રદેશના લોકો અને તેમના ભવિષ્યમાં છે.”

તેમણે માહિતી આપી હતી કે અદાણી ગ્રૂપ આગામી સમયમાં મધ્ય પ્રદેશમાં કુલ રૂ. ૧,૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ, સિમેન્ટ, માઇનિંગ (ખનન), લોજિસ્ટિક્સ અને થર્મલ એનર્જી જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં આશરે ૧,૨૦,૦૦૦ નોકરીઓ પૂરી પાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમની શરૂઆત પહેલા મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ પ્રદર્શનમાં મુકાયેલા આધુનિક હથિયારો, મિસાઇલો અને અન્ય સંરક્ષણ ઉપકરણોનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓએ રૂ. ૨૧૧.૨૯ કરોડના ખર્ચે અન્ય વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન
Follow

Recent Posts

  • અદાણી+ મિસાઇલ + મધ્યપ્રદેશ
  • રેલ્વેની ચોમાસાની તૈયારી અને સલામતી પર ખાસ ધ્યાન
  • પાલીતાણાના ગરાજીયા ગામમાં પશુપાલક પર સિંહણનો જીવલેણ હુમલો: વન વિભાગ સામે ગ્રામજનોમાં ભારે રોષ
  • રાજ્યપાલ સાથે GAS કેડરમાંથી IASમાં પ્રમોટ થયેલા અધિકારીઓની શુભેચ્છા મુલાકાત
  • ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.