Breaking News

હવે ખાનગી રીટ્રાઇવલ સેન્ટરમાંથી મળતા પાંચ કેડેવરમાંથી દર બીજા કેડેવરના તમામ અવયવોની ફાળવણી અંગેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલને અપાશે
…………
 હાલ સરકારી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અવયવો પ્રાપ્ત થતા ૧, ૩ અને ૫ ક્રમાંકના સરકારી હોસ્પિટલોમાં જ્યારે ૨ અને ૪ ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવે છે.

 હવેથી ખાનગી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અંગદાન થતા ૧,૩ અને ૫ ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને જ્યારે ૨ અને ૪ ક્રમાંકના તમામ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દી માટે અપાશે.

 અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના રજીસ્ટ્રેશનમાં ડોમાસાઇલ સર્ટીફીકેટની જરૂર રહેશે નહીં
 રજીસ્ટ્રેશન માટે કોઇપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં
 ટ્રાન્સપ્લાન્ટ માટે કોઇપણ ઉમરનો વ્યક્તિ નોંધણી કરાવી શકશે

========================================================================================================

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસથાને મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા અને અગત્યના નિર્ણય સંદર્ભે પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારની G.DOT ગાઇડલાઇન મુજબ હવેથી અંગદાન થકી ખાનગી હોસ્પિટલમાં રીટ્રાઇવલ (શરીરમાંથી અંગો કાઢવાની પ્રક્રિયા) દરમિયાન પાંચ કેડેવરમાંથી મળતા અંગોમાંથી દર બીજા કેડેવરના તમામ અંગોની ફાળવણી અંગેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે અપાશે.
હાલની પ્રક્રિયા પ્રમાણે મેડીસીટી કેમ્પસ સિવાયની અન્ય સરકારી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અવયવો પ્રાપ્ત થતા ૧, ૩ અને ૫ ક્રમાંકના અવયવો સરકારી હોસ્પિટલોમાં ફાળવવામાં આવે છે . જ્યારે ૨ અને ૪ ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવે છે.
જેના પરિણામે અત્યારસુધીમાં ખાનગી રીટ્રાઇવલ હોસ્પિટલોમાંથી અંગદાન થતા તેની ફાળવણી જનરલપુલમાં દર્દીઓને થતી.જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોના દર્દીઓનો સમાવેશ થતો હતો .


આ સમગ્ર પ્રક્રિયામાં સુધારો કરીને હવેથી ખાનગી રીટ્રીવલ હોસ્પિટલોમાંથી અંગદાન થતા ૧,૩ અને ૫ ક્રમાંકના અવયવો ખાનગી હોસ્પિટલોને જ્યારે ૨ અને ૪ ક્રમાંકના તમામ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ માટેની પ્રાથમિકતા સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દી માટે આપવામાં આવશે.
જેના પરિણામે અંગોના પ્રત્યારોપણમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સમગ્ર પ્રક્રિયાને લઇને સંતુલન જળવાઇ રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
વધુમાં અંગોના પ્રત્યારોપણ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકારના SOTTO એકમ દ્વારા મહત્વનો નિર્ણય હાથ ધરાયો છે.
જેમાં અંગોના પ્રત્યારોપણ માટેના રજીસ્ટ્રેશન માટે હવેથી ડોમાસાઇલ સર્ટીફિકેટની જરૂર રહેશે નહીં. વધુમાં આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ પ્રકારની ફી લેવામાં આવશે.
અંગોના પ્રત્યારોપણ માટેના રજીસ્ટ્રેશનમાં હવેથી કોઇપણ ઉમરના વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકશે.


અંગદાન અને અંગોના ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે આ મહત્વના જનહિતલક્ષી નિર્ણયથી સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ, અસરકારક અને વધુ જન ઉપયોગી બની રહેશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
………………………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article:

Related Post