Telegram Ban India | ભારત સરકારે સોશિયલ મીડિયા (Social media) અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર 22 જૂન 2026 સુધી અસ્થાયી પ્રતિબંધ (Temporary ban) લગાવી દીધો છે.
આ પ્રતિબંધની માંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવી હતી. એજન્સીનું માનવું છે કે આનાથી પેપર લીક (Paper leak) અંગે ફેલાતી નકલી અફવાઓ અને મેસેજ પર રોક લગાવી શકાશે. મહત્વનું છે કે NEET UG ની પરીક્ષા 21 જૂન 2026 ના રોજ યોજાવાની છે.
NTA ના વડાના જણાવ્યા અનુસાર, પેપર લીકનો કોઈ નવો મામલો સામે નથી આવ્યો, પરંતુ સોશિયલ મીડિયા પર ફેલાતા ફેક મેસેજ (Fake messages) ના કારણે વિદ્યાર્થીઓમાં તણાવ વધી રહ્યો હતો.
આ આદેશ બાદ ગૂગલે (Google) ભારતમાં પોતાના પ્લે સ્ટોર (Play Store) પરથી ટેલિગ્રામ એપને હટાવી દીધી છે અને એપલ (Apple) પણ ટૂંક સમયમાં આવું પગલું ભરી શકે છે.
આ દરમિયાન ટેલિગ્રામના ફાઉન્ડર અને સીઈઓ (CEO) પાવેલ દુરોવે ભારત સરકારના આ નિર્ણય પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધના કારણે દેશના 15 કરોડ નિયમિત યુઝર્સ (Regular users) ને સજા મળી રહી છે, જ્યારે વાસ્તવિક કાર્યવાહી એવા લોકો પર થવી જોઈએ જેઓ પેપર લીકની ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે આ બેનનો કોઈ મોટો અર્થ નથી, કારણ કે જે લોકો ગુનો કરવા માંગે છે તેઓ અન્ય એપ્સ (Apps) નો પણ ઉપયોગ કરી શકે છે.
NEET UG પેપર લીકનો વિવાદ સામે આવ્યા બાદ ટેલિગ્રામ કંપનીએ ભારત સરકારને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને પેપર લીક સંબંધિત માહિતી શેર કરતા અનેક ચેનલો તેમજ ગ્રૂપ (Groups) ડિલીટ કર્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન નકલી પેપર લીક રેકેટ (Fake paper leak racket) ચલાવતા અનેક ગ્રૂપ પણ પકડાયા હતા. બીજી તરફ, NTA મુજબ ટેલિગ્રામ પર 1 મહિના સુધી નજર રાખવામાં આવી હતી અને પરીક્ષા સમયે પેપર લીક માફિયા સક્રિય થવાની આશંકા હોવાથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ અટકાવવા આ કડક પગલું ભરવું પડ્યું હતું.
