કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (Department of Food and Public Distribution) દ્વારા વર્ષ 1966 ના જૂના નિયમોમાં મોટો ફેરફાર કરીને નવો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોને ‘ગન્ના નિયંત્રણ આદેશ 2026’ (Sugarcane Control Order 2026) તરીકે ઓળખવામાં આવશે.
આ ફેરફારનો મુખ્ય હેતુ ખાંડ મિલોમાં એથેનોલ (Ethanol) ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાનો છે. સરકારે આ ડ્રાફ્ટ અંગે તમામ પક્ષો પાસેથી 20 મે 2026 સુધી સૂચનો મંગાવ્યા છે.
નવા નિયમો મુજબ હવે ખાંડ મિલોમાં માત્ર ખાંડ જ નહીં પરંતુ એથેનોલ, બાયો-એનર્જી (Bio-Energy) અને અન્ય વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ પર પણ ધ્યાન આપવામાં આવશે. ડ્રાફ્ટમાં જણાવ્યા અનુસાર, શેરડીના રસ અથવા સિરપમાંથી સીધું જ 600 લિટર (Liter) એથેનોલનું ઉત્પાદન 1 ટન (Ton) ખાંડના બરાબર માનવામાં આવશે. આનાથી ખાંડ મિલોની આવકના સ્ત્રોત વધશે.
શેરડી પકવતા ખેડૂતો (Sugarcane Farmers) માટે આ નવો કાયદો ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. નવા ડ્રાફ્ટ મુજબ, ખાંડ મિલોએ શેરડી ખરીદ્યાના 14 દિવસની અંદર ખેડૂતોને ફરજિયાત ચુકવણું (Payment) કરવું પડશે. જો મિલો પેમેન્ટ કરવામાં વિલંબ કરશે, તો બાકી રકમ પર વાર્ષિક 15% વ્યાજ (Interest) ચૂકવવું પડશે. આ કડક જોગવાઈથી ખેડૂતોને આર્થિક સુરક્ષા મળશે.
આ ઉપરાંત, નવી સુગર મિલો (Sugar Mills) સ્થાપવા માટેના અંતરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે બે મિલો વચ્ચેનું લઘુત્તમ અંતર 15 કિમી (KM) થી વધારીને 25 કિમી કરવામાં આવ્યું છે.
નવી મિલ ખોલવા માટે 02 કરોડ રૂપિયાની બેંક ગેરંટી (Bank Guarantee) આપવી પડશે અને 05 વર્ષમાં ઉત્પાદન શરૂ કરવું પડશે. જો કોઈ જૂની મિલ 7 સીઝન (Season) સુધી બંધ રહે, તો તેની માન્યતા રદ થઈ શકે છે. આ ફેરફારોથી ઉદ્યોગમાં તંદુરસ્ત સ્પર્ધા જળવાશે અને ખેડૂતોને શેરડીના વધુ સારા ભાવ મળશે.
