કેરલમ (Keralam) વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગી મામલે ભારે ઘમસાણ મચ્યું છે. શુક્રવારે રાજ્યભરમાં હજારો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિપક્ષના નેતા વી. ડી. સતીશનને (V. D. Satheesan) જ મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ‘Only VD’ ના નારા લગાવી હાઈકમાન્ડને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે નેતાએ રણમેદાનમાં નેતૃત્વ કર્યું, તેને જ સત્તા સોંપવી જોઈએ.
રાજ્યમાં અત્યારે મુખ્યમંત્રી પદ માટે બે મોટા જૂથો આમને-સામને છે. એક તરફ વી. ડી. સતીશન છે, જેમણે 5 વર્ષ જમીની સ્તર પર લડત આપી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલનું (K. C. Venugopal) નામ ચર્ચામાં છે. અહેવાલો મુજબ, કોંગ્રેસના 63 ધારાસભ્યોમાંથી બહુમતી વેણુગોપાલના પક્ષમાં હોવાનું મનાય છે, પરંતુ કાર્યકરો તેમને ‘પેરાશૂટ નેતા’ ગણાવી સ્વીકારવા તૈયાર નથી. આ સ્થિતિ વર્ષ 2006 ના CPI(M) ના ઇતિહાસની યાદ અપાવે છે.
ઉલ્લેખનીય છે કે, સતીશને ચૂંટણી પહેલા જાહેરાત કરી હતી કે જો UDF 100 સીટો નહીં જીતે તો તેઓ નિવૃત્ત થશે, પરંતુ ગઠબંધને 140 માંથી 102 સીટો જીતીને ઐતિહાસિક સફળતા મેળવી છે. સતીશનના સમર્થનમાં રેલી કાઢનાર ઇડુક્કીના 3 નેતાઓને સસ્પેન્ડ કરાતા વિવાદ વધુ વકર્યો છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ (High Command) ધારાસભ્યોના આંકડાને મહત્વ આપે છે કે કાર્યકરોની લાગણીને, તેના પર સૌની નજર છે.
