મિડલ ઈસ્ટ (Middle East) માં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને એક મહત્વની વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ પૈકીના એક એવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી ભારત સહિતના મિત્ર દેશોના જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ શકશે. આ છૂટછાટ માત્ર ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો માટે જ છે, જ્યારે દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
અરાઘચીએ સરકારી ટેલિવિઝન (Television) પર જણાવ્યું કે, “અમે અત્યારે યુદ્ધ (War) ની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન જહાજોને પસાર થવા દેવાનો પ્રશ્ન જ નથી. પરંતુ મિત્ર દેશોની વિનંતી પર અમારી સેનાએ તેમને સુરક્ષિત માર્ગ (Safe Passage) પૂરો પાડ્યો છે.” તેમણે પુષ્ટિ કરી કે ભારતના બે જહાજો તાજેતરમાં જ અહીંથી હેમખેમ પસાર થયા છે. બીજી તરફ, અમેરિકા (USA) સાથે કોઈ પણ પ્રકારની ઔપચારિક વાટાઘાટો (Negotiations) ચાલતી હોવાનો ઈરાને સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. ઈરાને મક્કમતાથી જણાવ્યું છે કે આ સંઘર્ષનો અંત માત્ર તેમની શરતો પર જ આવશે.
